Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

બ્રિટનની મહારાણીને જલિયાંવાલાકાંડનો બદલો લેવા જાનથી મારી નાખવાની ધમકી!: સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા વીડિયોની તપાસ

હત્યા કરવાની ધમકી આપતો જણાયેલ વ્યકિત પોતાને ભારતીય શીખ ગણાવે છે

લંડન : સોશિયલ મીડિયામાં એક વીડિયો જોવા મળે છે જેમાં એક બુકાનીધારી વ્યકિત ૧૯૧૯માં જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડનો બદલો લેવા માટે બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વીતિયની હત્યા કરવાની ધમકી આપતો જણાય છે. આ વ્યકિત પોતાને ભારતીય શીખ ગણાવે છે આથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્કોટલેન્ડ યાર્ડ આ વીડિયોની તપાસ કરી રહી છે.

સ્નેપશૌટ પર શેર કરવામાં આવેલો આ વીડિયોમાં ધમકી આપનાર વ્યકિતએ પોતાનું નામ શિખ જસવંતસિંહ ચૈલ જણાવ્યું છે. વીડિયોમાં નકાબપોશ વ્યકિતનું કહેવું છે કે હું જે કરવા જઇ રહયો છું તે બાબતે દુખી છુ. રાજ પરીવારની મહારાણી એલિઝાબેથની હત્યા કરવાનો પ્રયાસ કરીશ. આ બદલો ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકો માટે છે એમ પણ વીડિયોમાં જણાવે છે.

જલિયાંવાલા બાંગનો હત્યાકાંડ ભારતની આઝાદીના પ્રકરણમાં ખૂબ મહત્વની ઘટના છે. રોલેટ એકટનો વિરોધ કરી રહેલા શાંત સમર્થકોને ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જનરલ રેજિનાલ્ડ એડવર્ડ ડાયર નામના અંગ્રેજ અફસરે ગોળીઓ છોડવાનો આદેશ આપીને ઠાર માર્યા હતા. આ હત્યાકાંડ એટલો જધન્ય હતો કે તેના પડધા એ સમયે સમગ્ર દુનિયામાં પડયા હતા. સ્વાતંત્ર સેનાનીઓ હચમચી ઉઠયા હતા. જલિયાંવાલા બાગમાં લાશોના ઢગલા રુવાંડા ખડા કરી દે તેવા હતા.જે લોકો સ્થળ છોડીને શાંતિથી સલામત પસાર થઇ રહેલા વૃધ્ધો અને બાળકોને પણ પણ છોડવામાં આવ્યા ન હતા.

૯૦ જેટલા બ્રિટીશ સૈનિકોએ ૧૦ મીનિટમાં ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ છોડી હતી. ૧૯૯૭માં મહારાણી એલિઝાબેથે આ સ્થળની મુલાકાત લઇને શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. ૨૦૧૩માં બ્રિટીશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને તો આ સ્મારક પર આવીને વિઝિટર્સ બુકમાં બ્રિટીશ ઇતિહાસની શરમજનક ઘટના ગણાવી હતી. જલિયાંવાલા બાગ સ્મારકમાં હાલમાં ૩૮૮ શહિદોની યાદી છે. કુલ ૫૦૦૦ લોકો એકઠા થયેલા હતા.

(12:37 am IST)