Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સૌનો ચહેરો હસતો નિહાળવા માગતા આર્ટ ઓફ લીવીંગના સ્વામી ઋષિ નૃત્યપ્રજ્ઞાજીનું મહાપ્રયાણઃ કોરોના સામેનો જંગ હારી ગયા

શ્રી શ્રી રવિશંકરના ચૂસ્ત અનુયાયી અને દેશ-વિદેશમાં લોકપ્રિયતા મેળવેલા સ્વામીજીની વસમી વિદાયથી હજારો ચાહકો શોકમાં ડૂબ્યા : સ્વામીજીએ દેશ-વિદેશમાં આર્ટ ઓફ લીવીંગ અને સુદર્શન ક્રિયાનો પ્રચાર કર્યોઃ ૬૦ દેશોની મુલાકાત લીધીઃ અંતિમવિધિ વડોદરા ખાતે થશે

નવી દિલ્હી, તા. ૨૭ : શ્રી શ્રી રવિશંકરના ચૂસ્ત અનુયાયી અને પ્રખર વકતા તથા ગાયક એવા આર્ટ ઓફ લીવીંગના સ્વામી ઋષિ નિત્ય પ્રજ્ઞા જી કોરોના સામેનો જંગ હારી ગયા હોવાનું જાણવા મળે છે. તેઓનું આકસ્મિક નિધન થતા દેશ-વિદેશના તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
આર્ટ ઓફ લીવીંગના સ્વામી નિત્ય પ્રજ્ઞા જી છેલ્લા થોડા વખતથી બિમાર હતા અને તેઓને કોરોના થયો હતો. લાંબી સારવાર લીધા બાદ તેઓએ ગઈકાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.
ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના ચૂસ્ત અને તેમના જમણા હાથ સમા ગણાતા આ સ્વામીજીએ અનંતની વાટ પકડતા આર્ટ ઓફ લીવીંગના લાખો સ્વયંસેવકો પણ શોકાતુર બની ગયા છે.
દેશ-વિદેશના ૬૦ જેટલા દેશોમાં યોગ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરનાર આ સ્વામીજીની લોકપ્રિયતા પણ અપાર હતી. તેઓ કવોલીફાઈડ કેમીકલ એન્જીનીયર પણ હતા. તેઓએ દેશ-વિદેશની ૭૦ જેટલી યુનિવર્સિટીઓમાં લોકોને પ્રેરણા આપી હતી. તેઓએ સમાજ સુધારક તરીકેની પણ ભૂમિકા ભજવી હતી.  જાદુઈ વ્યકિતત્વના માલિક એવા આ સ્વામીજીને કોઈપણ મળે તો તેમના પ્રેમમા પડી જાય તેવુ તેમનું અનોખુ વ્યકિતત્વ હતું. તેઓ દરેકના ચહેરા પર હાસ્ય ઈચ્છતા હતા.
તેઓએ દેશ-વિદેશમાં સુદર્શન ક્રિયાનો પ્રચાર પણ કર્યો હતો. તેઓ કહેતા કે આ ક્રિયા અંદરની સફાઈ માટે વેકયુમ કલીનર જેવી છે. તેઓ કહેતા કે ચિંતાની આદત, ગુસ્સાની આદત, અહંકાર આ બધા તત્વો મનુષ્યોને નબળા પાડે છે. જાણવા મળતી વિગતો અનુસાર તેમના અંતિમ સંસ્કાર વડોદરા ખાતે કરવામાં આવનાર છે.


 

(12:00 am IST)