Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણાની હત્‍યાના પ્રયાસના ગુનામાં દેવાયત ખવડના શરતી જામીન મંજુર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ માસની પ્રવેશબંધી ફરમાવી શરતી જામીન મંજુર કર્યાઃ છેલ્લા ૭ર દિવસથી જેલ હવાલે રહેલા લોક સાહિત્‍યકાર દેવાયત ખવડ જામીન પર

રાજકોટ, તા. ર૮ : રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર સવશ્વર ચોકમાં મયુરસિંહ રાણાની હત્‍યાની કોશિષના ગુનામાં પકડાયેલ લોક સાહિત્‍યકાર દેવાયત દાનભાઇ ખવડને રાજકોટમાં છ માસ સુધી નહિ પ્રવેશવાની શરતોને આધીન ગુજરાત હાઇકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.

શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન  પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્‍યો હતો ત્‍યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્‍લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસહિત્‍યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટયા હતા. હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કાનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્‍યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્‍યો હતો.

આ ગુનામાં નાસતા ફરતા હુમલાખોર લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ પોલીસ ધરપકડની દહેશતે સેશન્‍સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્‍ડર થયા હતા. જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને

સાગરીતે જામીન મેળવવા રાજકોટ સેશન્‍સ કોર્ટમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી રદ થતા સેશન્‍સ કોર્ટના હુકમથી નારાજ થઈ દેવાયત ખવડ અને કાર ડ્રાઇવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયાએ જેલ મુક્‍ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

હાઇકોર્ટે લંબાણપૂર્વકની દલીલો બાદ જામીન ન આપવાનું રુખ અપનાવતા અંતે દેવાયત ખવડ અને તેના સાગરીત કિશન કુંભારવાડિયાએ જામીન મુક્‍ત થવા કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી. જે ગુનામાં તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ રાજકોટ સેશન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પણ રદ થતા દેવાયત ખવડે હાઇકોર્ટમાં જામીન મુક્‍ત થવા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા હાઇકોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દેવાયત ખવડને ખૂની હુમલાના ગુનામાં ૭૨ દિવસના જેલવાસ બાદ ૬ માસ સુધી રાજકોટમાં નહિ પ્રવેશવાની શરતે જામીન મુક્‍ત કરવા હુકમ કર્યો છે.

આ કેસમાં દેવાયત ખવડના બચાવ પક્ષે  હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શરદભાઈ શાહ, રાજકોટના એડવોકેટ અજયભાઈ કે. જોષી, સ્‍તવનભાઈ મહેતા અને બ્રિજેશ ચૌહાણ રોકાયા હતા.

(3:22 pm IST)