Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પોપટપરા રઘુનંદન સોસાયટીમાં નશાની હાલતમાં ઝઘડો કર્યા બાદ માધવભાઇ સાવંતનો આપઘાત

પત્‍નિ પુત્રને લઇ રૂમમાં પુરાઇ ગયા બાદ યુવાને આગળના રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧: પોપટપરાની રઘુનંદન સોસાયટી-૫/૩ના ખુણે રહેતાં અને માર્કેટ યાર્ડમાં મજૂરી કરતાં માધવભાઇ કિશનભાઇ સાવંત (ઉ.વ.૪૦) નામના યુવાને પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

માધવભાઇએ ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી રવિન્‍દ્રભાઇ મારફત જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ કે. એસ. ભગોરાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર માધવભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે.

પરિવારજનોના કહેવા મુજબ માધવભાઇને કેટલાક સમયથી દારૂ પીવાની આદત પડી ગઇ હતી. સાંજે નશો કરી ઘરે આવ્‍યા બાદ તે પુત્ર પત્‍નિ સાથે માથાકુટ કરતાં હોઇ પત્‍નિ આરતીબેન ઝઘડો ન થાય એ માટે પુત્રને લઇ રૂમમાં પુરાઇ જતાં માધવભાઇને માઠુ લાગી જતાં તેણે આગળના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. થોડીવાર બાદ પત્‍નિએ દરવાજો ખોલતાં પતિ લટકતા જોવા મળતાં કલ્‍પાંત સર્જાયો હતો.

(5:27 pm IST)