Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સરધારમાં બેભાન થઇ જતાં રમેશભાઇ પટેલે દમ તોડ્યો

અજમેરા શાસ્ત્રીનગરમા ૨ાા માસની બાળકીનું ઘોડીયામાં બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૪: સરધારના કણબીવાડમાં રહેતાં રમેશભાઇ ગોરધનભાઇ ટીંબડીયા (પટેલ) (ઉ.વ.૪૮) ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતક ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેમને કેન્સરની બિમારી હતી અને હાર્ટમાં પણ તકલીફ થઇ ગઇ હતી.

બીજા બનાવમાં નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર સી-૮૨માં રહેતાં રૂપેશભાઇ ભનુભાઇ પરમાર (મોચી)ની પુત્રી સંસ્કૃતિ (ઉ.૨ાા માસ) સાંજે ઘરે ઘોડીયામાં સુતી-સુતી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રૂપેશભાઇને એક પુત્ર છે. લાડકી દિકરીના મોતથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

પાડાસણના રઘુભાઇ મુંધવાનું પણ બેભાન હાલતમાં મોત

રાજકોટના પાડાસણમાં રહેતાં રઘુભાઇ નથુભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.વ.૪૫) રાતે ત્રણેક વાગ્યે ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સ્વજનોએ કહ્યું હતું. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:02 pm IST)