Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રાજકોટ –અમદાવાદ છ માર્ગીય નેશનલ હાઇવેની બામણબોર સુધીની કામગીરી ડીસે, સુધી પુર્ણ કરાશે

કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇ વે ઓથોરીટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

રાજકોટ:  રાજકોટ - અમદાવાદ નેશનલ હાઇ વે પર ચાલી રહેલા છ માર્ગીય (સીકસ લેન)નું કામ પ્રગતિ હેઠળ છે. રાજકોટ થી બામણબોર સુધીના ૩૦.૫૮ કિ.મી.ના રસ્તાનું કામ ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં પુર્ણ કરવા રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ સુચના આપી હતી.
   કલેકટરએ નેશનલ હાઇવે ઓથોરીટી અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે આજે છ માર્ગીય રસ્તાના પ્રોજેકટની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટરએ અત્યાર સુધી થયેલી કામીગીરી અને હાથ ધરવાની અન્ય કામગીરી અંગે વિગતો જાણી આ કામ ઝડપથી પુર્ણ થાય તે માટે ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં બે ફલાય ઓવર સિવાયની કામગીરી પુર્ણ કરવા ઉપસ્થીત રહેલા એજન્સીના કોન્ટ્રાકટર અને અધિકારીઓને  જણાવ્યું હતું.
   હિરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સુધી હાઇ વે પરથી જવા માટે કેટલીક કામગીરી નેશનલ હાઇવે ઓથોરીટી હસ્તક છે. જેમાં હિરાસર એરપોર્ટ ફલાયઓવર ટેન્ડર પ્રકિયા નવેમ્બર સુધી પુર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ એક વર્ષમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
   આ બેઠકમાં અધિક કલેકટર કેતન ઠકકર, નેશનલ હાઇવેના કાર્યપાલક  ઇજનેર એચ.યુ. પટેલ સહિતના અધિકારીઓ અને એજન્સીના કોન્ટ્રાકટરો ઉપસ્થિત રહયા હતા.

(7:43 pm IST)