News of Tuesday, 6th July 2021
રાજકોટ તા. ૬: શહેરના મોરબી રોડ આરોગ્ય કેન્દ્રની સામેના કોમ્યુનિટી હોલ અને કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ વેકસીનેશન સ્થળની રૂબરૂ મુલાકાત મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન રસીકરણ કેન્દ્રમાં સ્ટાફ રિસોર્સ અને ઓન ધ સ્પોર્ટ રજીસ્ટ્રેશન કાઉન્ટર પધારવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
શહેરને ઝડપી કોરોના મુકત કરી શકાય અને રાજકોટમાં ૧૦૦% વેકસીનેશન ઝડપી બનાવી શકાય તેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. મનપાના આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહીત મ્યુનિ. કમિશનર અમિત અરોરા પણ વેકસીનેસન કામગીરી ઝડપભેર આગળ ધપે તે માટે સતત કાર્યશીલ છે. આજે મ્યુનિ. કમિશનરે મોરબી રોડ આરોગ્ય કેન્દ્રની સામેના કોમ્યુનીટી હોલ અને કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ વેકસીનેશનની કામગીરી રૂબરૂ નિહાળી હતી. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭ર૭૧૪૬ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ કુલ ર૦૬પર૦ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે.
નાગરિકોને તુર્ત કોરોના રસી મળી જાય તે માટે કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનામાં કામગીરી કરતા મહાનગરપાલિકાના સ્ટાફ/રિસોર્સ વધારવા અને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનના હાલ બે કાઉન્ટર છે જે વધારીને ચાર કરવા મ્યુનિ. કમિશનરે અધિકારીને સુચના આપી હતી તેમજ મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર સામેના કોમ્યુનીટી હોલ ખાતે ચાલી રહેલા વેકસીનેશન કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, મેડીકલ ઓફિસર ડો. લલીત વાંજા, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક અને સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા, પી.એ. (ટેક) ટુ રસિક રૈયાણી, નાયબ મેડીકલ ઓફિસર ડો. મનીષ ચુનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- કાલે શહેરના તમામ સ્થળોએ કોવિડ વેકસીનેશનની કામગીરી બંધ
રાજકોટ તા. ૬: આવતીકાલે તા. ૭ ના રોજ 'મમતા દિવસ' અનુસંધાને રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેકસીનની કામગીરી બંધ રહેશે. હાલ શહેરમાં ચાલુ રહેલ કોવિડ વેકસીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. તેમ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.