Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

શિવાનંદ સ્‍વામીએ ૧૬૦૧માં લખી હતી માં આધ્‍યાશક્‍તિની આરતી

જુના માંડવા ગામમાં ભયનાક પુરે વિનાશ વેરેલ : પણ જ્‍યાં આરતીની રચના થયેલ તે મંદિરને આંચ પણ ન આવેલ

રાજકોટ,તા.૭ : જગતજનની માં અંબાનો ગઇકાલે પ્રાગટય દિવસ અને સમગ્ર વિશ્વમાં માં જગદંબાની આરતી કે આધ્‍યા શક્‍તિ આરતી ભરૂચ જિલ્લાના માંડવા ગામના મંછાવટી નગરીમાં એક યજ્ઞ દરમિયાન શિવાનંદ સ્‍વામીએ કરી હતી અને ત્‍યારથી  સમગ્ર વિશ્વમાં માતાજીના મંદિરોમાં આજે પણ આ આરતી ચાલી રહી છે.

 સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં જ્‍યાં જ્‍યાં ગુજરાતીઓ છે ત્‍યાં સદીઓથી નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રીમાં અને માતાજીના કોઈપણ મંદિર હોય ત્‍યાં હંમેશા આદ્યશક્‍તિની આરતી ગવાય છે બહુ ઓછા લોકોને ખબર હશે કે તેની રચના કરનાર શિવાનંદ પંડ્‍યા એટલે કે શિવાનંદ સ્‍વામીએ લખી હતી અને તેઓ સુરતના અંબાજી રોડ ઉપરના નાગર ફળિયામાં રહેતા અને વામન દેવના ઘરે ૧૫૪૧માં તેઓ જન્‍મ્‍યા હતા આરતીમાં તેમનું નામ પણ આવે છે.

 તેમણે ૧૬૦૧માં ૬૦ વર્ષની વયે આદ્યશક્‍તિની આરતી લખી હતી અને આ આરતી ભરૂચ જિલ્લાના મંછાવટી નગરીમાં યજ્ઞ દરમિયાન લખાય હોવાની માન્‍યતાઓ રહેલી છે જે સ્‍થળે શિવાનંદ પંડ્‍યા એટલે કે શિવાનંદ સ્‍વામીએ આધ્‍યા શક્‍તિની આરતી રચી હતી તે આ જ મંદિર હતું જે ભરૂચના નર્મદા નદીના સામા કાંઠાનું માંડવા બુઝર્ગ જૂના માંડવા ગામ કે જે વર્ષો પહેલા મંછાવટી નગરી તરીકે પ્રચલિત હતું અંકલેશ્વર બાદ ભરૂચ ખાતેના નર્મદાના જુના તથા નવા પુલની વચ્‍ચે છે જ્‍યાં પહેલા માર્કંડ મુનિનો આશ્રમ હતો.

 જેથી આ ગામનું નામ માંડવા બુઝગૅ પડ્‍યાની ધારણા છે જ્‍યાં એ દેહરી છે જેની જગ્‍યાએ શિવાનંદ સ્‍વામીના સમય માત્ર માતાજીનું સ્‍થાનક અને ઓટલો જ હતો અને આ દેરી ૧૯૬૩માં કાંસિયા ગામના નટવરભાઈ મોદીએ બંધાવી હતી. વર્તમાનમાં આ મંદિરની સંભાળ તેમના દીકરા અને વહુ પ્રકાશભાઈ અને ગીતાબેન કરે છે હવે આ ડેરીનું નવીનીકરણ થયું છે ડેરીની ઉપર જ મંદીરનું નવનિર્માણ કરવામાં આવ્‍યું છે ડેરીની ઉપર બાજુએ ભવ્‍ય શિખર બાંધવામાં આવ્‍યું છે ભૂતકાળમાં જૂના માંડવા ગામે ભયાનક પુર આવતા આખું ગામ ખલાસ થઈ ગયું હતું. પરંતુ મંદિરને  આંચ સુધા આવી ન હતી અને આ મંદિરે કોઈપણ પોતાની માનતા મૂકે તો તે અવશ્‍ય પૂર્ણ થતી હોવાની માન્‍યતાઓ રહેલી છે.

 આ મંદિરની બાજુમાં એક નાનકડું ઝૂંપડું આવેલું છે અને આ મંદિરની બાજુમાં રહેલા ઝુપડાની અંદર સાપ રહેતા હોય તેવા દર મળ્‍યા છે પરંતુ અહીંયા રહેતા સાપ કયારે કોઈને હેરાન કરતા ન હોવાનું માનવામાં આવે છે અને આ ઝુપડામાં ચૈતર નવરાત્રીમાં ગીતાબેન મોદી નવ દિવસ એકલા રહે છે સાપના રાફડા જોવા મળ્‍યા છે ઘણી વખત ઝૂંપડાના નળિયા ઉપરથી પણ જોવા મળે છે આ મંદિરનું મહત્‍વ આમ તો ઘણું માનવામાં આવે છે અને અંબાજી મંદિર જેટલું જ મહત્‍વ આ મંદિરને માનવામાં આવે છે અને આ મંદિર અઠવાડિયામાં દર રવિવારે દર્શન માટે ખુલ્લું રહે છે.

(3:51 pm IST)