News of Tuesday, 10th May 2022
જિન્હા અને તેમનાં પત્ની રતનબાઈ
લોર્ડ માઉન્ટબેટન અને તેમનાં પત્ની એડવિના માઉન્ટબેટન
લોર્ડ માઉન્ટબેટન તા. ૧૩/૦૮/૧૯૪૭નાં રોજ પાકિસ્તાન જવા રવાના થયા. તા.૧૪/૦૮/૧૯૪૭નાં રોજ માઉન્ટબેટન અને જિન્હાને ખુલ્લી મોટરમાં જવાનું હતું. માઉન્ટબેટનને માહિતી મળી હતી કે કાવતરૂ ચાલુ થઈ રહ્યું છે. પણ માઉન્ટબેટને પોતાના કાર્યક્રમમાં જવા કટીબધ્ધ્તા દર્શાવી. તેમના પત્નીને તેઓ પાકિસ્તાન લઈ જવાની તરફેણમાં ન્હોતા પણ તેમનાં પત્ની પાકિસ્તાન ગયા અને માઉન્ટબેટનને કહ્યું કે ‘હું તમારી સાથે જ રહેવાની છું.'
જિન્હાની ઈચ્છા ખુલ્લી મોટરમાં જવાની હતી. અને તે મુજબ જ થયું. ગાંધીજી ભાગલાની વિરૂદ્ધ હતા, જયારે જિન્હા સફળ થયા હતા. થોડી જ ઘડીઓમાં દુનિયાની સૌથી મોટી મુસલમાન વસ્તી ધરાવતા દેશનો જન્મ થવાનો હતો.
જિન્હાની બાજુમાં માઉન્ટબેટન ગોઠવાયા. વાઈસરોયની અનિચ્છા છતાં જિન્હાએ તેમનું રાજય મેળવ્યું હતું. માઉન્ટબેટન નૌકાદળનાં ગણવેશમાં ઓપતા હતા. ૩૬ કલાકમાં ઉપખંડ પરની બ્રિટનની શાહી સત્તાનો અંત લાવનારી વિધિઓમાં આ પ્રથમ વિધિ હતી. માઉન્ટબેટને વિશાળ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ‘તમારી વિદાય લેવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાન હંમેશા આબાદ રહે અને તેનાં પાડોશી દેશો સાથે અને દુનિયાનાં બધા દેશો સાથે મિત્ર બનીને રહે.'
જિન્હાએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે ‘બ્રિટન અને તેનાં સંસ્થાનનાં લોકો છૂટા પડતા હતા છતાં હું અંતરથી આસ્થા રાખું છું કે આપણે મિત્રો રહેશું.' જો કે, વિજયસવારીમાં બોમ્બથી કોઈ હુમલો થયો નહિ. આ તબકકે માઉન્ટબેટનને ભૂતકાળમાં સરી ગયેલી વિજયસવારીઓ યાદ આવી. માઉન્ટબેટનની વંશાવળીનાં કેટલાંક બનાવો હતા. ઝાર કમાન્ડર એલેકઝેન્ડર બીજાનું નામ હતું, જેઓ પીટરબર્ગમાં તેમની ખુલ્લી ગાડી ઉપર બોમ્બથી તેમનાં કૂરચા ઉડી ગયા હતા. એ જ વંશવેલીમાં ગ્રાન્ડડ્યુક ઓફ સર્જ, ૧૯૦૪ માં ત્રાસવાદીઓનાં બોમ્બથી તેમનું મોત થયું હતું. જો કે, ઈતિહાસમાં નોંધ છે કે વિક્ટોરિયા રોડ પર સવારી પહોંચી ત્યારે બાલ્કનીમાં ઉભેલા જવાને કોટનાં ખિસ્સામાં રાખેલી પિસ્તોલ પર હાથ સખ્ત કર્યો હતો પણ તેનો અમલ થયો નહિ.
માનવસમુદાયે જિન્હા સાથે માઉન્ટબેટનને વધાવ્યા હતા. જિન્હાનાં પત્ની તો વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા હતા. એટલે તેઓ એકલા જ હતા અને સાથે તેમનાં બહેન હતા. પાકિસ્તાન અને ભારતનાં રાબેતા મુજબ, સાંજે યુનિયન જેક ઉતારી લેવામાં આવ્યા. તા. ૧૪/૦૮/૧૯૪૭ નાં રોજ શાંતિથી, કોઇપણ વિરોધ વિના એ રાષ્ટ્રધ્વજો ઈતિહાસમાં ચાલ્યા ગયા. એક યુગનો અસ્ત થતો હતો. બ્રિટીશરોની દંતકથાઓ કાયમ માટે અંગ્રેજોનાં હાથમાંથી ચાલી જવાની હતી.
લખનૌની રેસિડન્સી પર ફરકતો બ્રિટીશ ધ્વજ નીચે ઉતરતો નહિ કારણ કે તેની સાથે તવારીખ જોડાયેલી હતી. ઈ.સ. ૧૮૫૭ નાં વિપ્લવથી તોપમારાની જેમ રખાઈ હતી. કાયમ માટે બ્રિટીશ ધ્વજ પણ તા. ૧૪/૦૮/૧૯૪૭ નાં રોજ ઉતારી લેવાયો.
જિન્હા તા. ૧૩/૦૮/૧૯૪૭ નાં રોજ પાકિસ્તાન પહોંચ્યા અને ત્યારબાદ તેઓ ભારતમાં આવ્યા નહિ. પાકિસ્તાન જતાં પહેલાં મુંબઈનાં એક મુસ્લિમ કબ્રસ્તાનમાં જિન્હા એક કબર પાસે આવીને શાંતિથી ઉભા રહ્યા. કબર નીચે સૂતેલીસ્ત્રી તેમની પત્ની રતનબાઈ પારસી હતા. જિન્હાનાં પારસી મિત્ર સાથે દોસ્તી હતી અને રતનબાઈ, જેનું હુલામણું નામ ‘રૂટી' હતું, તેમની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માત્ર ૧૦ વર્ષ સુધી નભ્યા. ઈ.સ. ૧૯૨૮ માં રૂટી તેમને છોડી ગયા હતા અને ઈ.સ. ૧૯૨૯ માં મૃત્યુ પામ્યા હતા. ઈતિહાસમાં નોંધ છે કે જિન્હાએ પુષ્પગુચ્છ મૂક્યું અને રડ્યા હતા. જિન્હા અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા તે પહેલા તેમનાં લગ્ન નાની કન્યા સાથે થયા હતા, પરંતુ તે પાછા આવ્યા તે પહેલા તે ગુજરી ગઈ હતી.
તા. ૧૫/૦૮/૧૯૪૭ નાં રોજ જિન્હાની પુત્રી દીનાએ કોલાબાનાં ફ્લેટમાં ભારતનો અને બીજો પાકિસ્તાનનો ધ્વજ ફરકાવ્યો હતો
સંકલનઃ
નવીન ઠક્કર
મો. ૯૮૯૮૩૪૫૮૦૦