News of Thursday, 12th May 2022
ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા સ્ટાફ સાથે બાજુમાં આરોપી નીચેની તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર મીથુનનો ફાઇલ ફોટો અને બાજુમાં તેનું મકાન નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૨ : જંગલેશ્વર નજીક રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા બિહારી યુવાનની પાડોશમાં રહેતી પ્રેમિકાના ભાઇએ મિત્ર સાથે મળી ઢોર માર મારી બાઇક પર અપહરણ કરી બે સ્થળે લઇ જઇ ઢોર માર મારીને હત્યા કરનારા પ્રેમીકાના ભાઇ અને તેના મિત્રની ભકિતનગર પોલીસે ધરપકડ કરી છે.
મળતી વિગત મુજબ બિહાર ભાગલપુરના મસીવાપુર ગામના વતની હાલ રાજકોટ જંગલેશ્વર રાધાકૃષ્ણનગર શેરી નં. ૮માં શૈલેષભાઇ સીંધેશ્વરના મકાનમાં ભાડે રહેતા બીપીનભાઇ શાંતિભાઇ ઠાકુર (ઉ.વ.૫૫)એ ભકિતનગર પોલીસ મથકમાં રાધાકૃષ્ણનગરમાં રહેતા શાકીર રફીકભાઇ કડીવાર અને અબ્દુલ અસ્લમભાઇ અજમેરી સામે ફરિયાદ નોંધાવી છે. બીપીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે લોઠડા જીઆઇડીસીમાં આવેલ વિઝન એન્જીનિયરીંગ નામના કાસ્ટીંગના કારખાનામાં મજુરી કામ કરે છે. પોતાને બે દિકરા અને એક દીકરી છે. જેમાં બીજા નંબરનો પુત્ર મીથુન (ઉ.વ.૨૨) પોતાની સાથે રહે છે અને પત્ની તથા મોટો પુત્ર અને પુત્રી વતનમાં રહે છે. પુત્ર મીથુન સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં લેથ મશીનના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. ગત તા. ૧૦ના રોજ સવારે પોતાને રાધાકૃષ્ણનગર શેરી નં. ૧૦માં રહેતો સૂરજ નટવરભાઇ મેરજીયાનો ફોન આવતા તેણે કહ્યું હતું કે, ‘ગઇકાલે રાત્રે જંગલેશ્વર રાધાકૃષ્ણનગર શેરી નં. ૯માં નદીના કાંઠા પાસે તમારા દીકરા મીથુનને માથાકુટ થઇ હતી અને તેને રાધાકૃષ્ણનગર શેરી નં. ૭માં રહેતો શાકીર અને અબ્દુલે ધોકાથી માર મારેલ છે અને મોડી રાત્રે મીથુન શેરી નં. ૮માં હતો ત્યારે તેને આ લોકો વધુ માર ન મારે તે માટે મારે અમદાવાદ જવાનું હોઇ જેથી હું મારી સાથે મીથુનને લઇને અમદાવાદ જવા માટે રવાના થયો હતો અને લીમડી નજીક પહોંચતા તમારો દીકરો મીથુન કાંઇ બોલતો ન હતો અને બેભાન જેવો થઇ ગયો છે. જેથી તમે લીંબડી તરફ નીકળી જાવ' તેમ વાત કરતા પોતે ખાનગી કાર લઇને રાજકોટથી નીકળ્યા હતા અને ચોટીલા નજીક ડોળીયા બાઉન્ડ્રી વચ્ચે આ સુરત તથા પુત્ર મીથુન ભેગા થઇ ગયા હતા. બાદ પોતે જોયું તો મીથુન કાંઇ બોલતો ન હતો. હાથ અને શરીર હલાવતો હતો. જેથી પોતે તેને તુરંત જ કારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં તપાસનીશ તબીબોએ તપાસ કરતા મીથુનને માથાના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા છે અને ડાબા હાથમાં તથા શરીરે પણ ઇજા હોઇ, તેને તાત્કાલિક અમદાવાદ લઇ જવાનું કહેતા પોતે મિથુનને તાકીદે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદ ગઇકાલે મોડી રાત્રે મીથુનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાદ પોતે પુત્રના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમવિધિ માટે રાજકોટ લઇ આવ્યા હતા. ત્યારબાદ પોતે પોતાની રીતે બનાવ બાબતે તપાસ કરતા પોતાના પુત્ર મીથુનને રાધાકૃષ્ણનગર શેરી નં. ૭માં રહેતી એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો અને તેની સાથે વાત કરવા માટે મીથુને તેને મોબાઇલ ફોન આપ્યો હતો. આ ફોન યુવતીના ભાઇ શાકીર રફીકભાઇ કડીવારના હાથમાં આવી જતા તેણે પૂછતા યુવતીએ ‘આ ફોન, મીથુને આપ્યો છે અને તીની સાથે પ્રેમ છે' તેમ જણાવતા શાકીર કડીવાર અને તેનો મિત્ર અબ્દુલ અસ્લમભાઇ અજમેરી બંનેએ પુત્ર મીથુનને નદીનાકાંઠે ઝઘડો કરી તેને ધક્કો મારી અને ખાટલાના પાયા વડે માથામાં બે-ત્રણ ઘા મારી દીધેલ અને મીથુનને આ બંનેએ મારી નાખવાના ઇરાદે બાઇક પર કોઇ જગ્યાએ લઇ જઇ ધોકા વડે વધુ માર માર્યો હતો. બાદ તેને કોઇ જગ્યાએ ફેંકી નાશી ગયા હતા. તેમ જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ રાધાકૃષ્ણનગર શેરી નં. ૭માં રહેતા શાકીર રફીકભાઇ કડીવાર (ઉ.વ.૨૧) અને તેનો મિત્ર અબ્દુલ અસ્લમભાઇ અજમેરી (ઉ.વ.૧૯, રહે. રાધાકૃષ્ણનગર શેરી નં. ૪)ની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મીથુન અને પ્રેમીકાનો ભાઇ શાકીર મિત્ર હોઇ તેના ઘર પાસે જ દરરોજ બેસતા હતા. પોતાની બહેનના મીથુન સાથેના પ્રેમસંબંધ બાબતે ખબર પડતા શાકીરે અગાઉ મીથુનને ચેતવણી આપી હતી છતાં મીથુને પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. દસ દિવસ પહેલા પ્રેમીકાને આપેલો મોબાઇલ ફોન શાકીરને ઘરમાંથી મળતા ગુસ્સો ચડયો હતો. બાદ તા. ૯ના રાત્રે શાકીર અને તેના મિત્ર અબ્દુલે સાથે મળીને મીથુનને રાધાકૃષ્ણનગર શેરી નં. ૯ નદીનાકાંઠે ખાટલાના લાકડાના પાયા વડે માર મારી માથાના ભાગે ઇજા કરી હતી. બાદ મીથુનને મારી નાખવાના ઇરાદે બાઇક પર અપહરણ કરી માધવ હોલ પાસે ત્યાંથી કોઠારિયા રોડ દેવપરા શકિત હોટલ પાસે બાદ દેવપરા પંચમુખી હોટલવાળી શેરીમાં લઇ જઇ વધુ માર માર્યા બાદ તેને રાધાકૃષ્ણનગરમાં ફેંકી ભાગી ગયા હતા. બાદ આ બનાવમાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. દિલીપભાઇ, કોન્સ. મનીષભાઇ, વિશાલભાઇ તથા પુષ્પરાજસિંહને બાતમી મળતા બંનેને ગણતરીની કલાકોમાં જ પકડી લીધા હતા. આ કામગીરી ડીસીપી ઝોન-૧ના પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એલ.એલ.ચાવડા તથા પીએસઆઇ એચ.એન.રાયજાદા તથા એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા તથા હેડ કોન્સ. હીરેનભાઇ પરમાર તથા દિલીપભાઇ બોરીચા તથા કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, મનીષભાઇ ચાવડા, વિશાલભાઇ દવે, પુષ્પરાજસિંહ ગોહિલ, પ્રવિણભાઇ સોનારા દ્વારા કરવામાં આવી હતી