Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્‍યાના કેસમાં પકડાયેલ આરોપી મહેશ રાઠોડની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ,તા.૧૨ : રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્‍યાના ગુનામાં   આરોપી મહેશ છગન રાઠોડના  જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૨૯-૧-૨૦૨૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હયિાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. જયારે અન્‍ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્‍ટાફે હરેન્‍દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી છગન બીજલ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્‍તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્‍પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સહિત કુલ ૨૧ શખ્‍સો સામે  ગુનો નોંધાયેલ અને આરોપીઓની ધરપકડ કરેલ.  

ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે હરેન્‍દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્‍ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તેવા પ્રયત્‍ન કરતા ત્‍યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ  બન્‍યો હતો.

આ ગુનામાં  આરોપી મહેશ છગન રાઠોડ નામના શખ્‍સે રાજકોટ સેશ.કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ  સ્‍પે. પીપી અનીલભાઈ દેસાઈ, અને મુળ ફરીયાદીના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર દ્વારા  લેખીત  મોખીક  દલીલ  કરતા  જામીન અરજીના વિરોધમાં  જણાવવામાં આવેલ કે  હાલના આરોપીએ  ગુનાહીત કાવતરાના  ભાગ રૂપે  ખેતરમાં  અગાઉથી છુપાવી રાખેલ કુહાડી વડે  લગધીરસિંહને  મરણતોલ ગંભીર  ઈજા  પહોચાડી જયારે  અન્‍ય આરોપી છગન બીજલે  તલવારથી અને મગન બીજલે ધારીયાથી  લગધીરસિંહ ઉપર હુમલો  કર્યો હતો ત્‍યારે સંજયમગને પકડી રાખેલ હોય  આમ ચારેય શખ્‍સોએ  હત્‍યામાં  સક્રિય ભાગ ભજવેલ હોય જેથીે   આરોપી  મહેશ છગનની જામીન અરજી નામંજૂર કરવા  વિનંતી કરી હતી.   તમામ દલીલથી સહમત થઈ  અધિક સેશ.જજશ્રી    બી.ડી. પટેલે, આરોપી   મહેશ છગન રાઠોડની  જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે. 

આ કામમાં સરકાર પક્ષે સ્‍પે.પીપી અનીલભાઈ દેસાઈ અને મુળ ફરિયાદી હરેન્‍દ્રસિંહ જાડેજા  વતી એડવોકેટ  તરીકે રૂપરાજસિંહ પરમાર,  મનીષભાઈ પાટડીયા, અજીત પરમાર,  હુસેન હેરંજા, શકિત ગઢવી, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવીભાઈ લાલ અને જીત શાહ  રોકાયા હતા. 

(4:20 pm IST)