રાજકોટ,તા.૧૪: જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિતે ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી'ના ગગન ભેદી નાદ સાથે યોજાયેલ આ યાત્રા મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ) થી પ્રારંભ થઈ શ્રોફ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, અકિલા સર્કલ (જિલ્લા પંચાયત ચોક), ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થયેલ. સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર અનેક જ્ઞાતિ, સમાજ, મંડળ, સામાજીક સંસ્થા, રાજકીય પક્ષો, વેપારી મંડળ, ડોકટર, એડવોકેટ, બિલ્ડર વિગેરે દ્વારા ભગવાન મહાવીરનાં અક્ષત વધામણા કરવામાં આવ્યા હતા. તથા જગ્યા એ જગ્યાએ પાણી, ઠંડા પિણા, પ્રસાદ વિગેરેનું ભાવભેર વિતરણ કરવામાં આવ્યું હતું.
જૈન સમાજનાં અનેક સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, જૈન સમાજનાં શ્રેષ્ઠોઓ, સંદ્ય, દેરાસર, ઉપાશ્રય, ગ્રુપ વિગેરેનાં અનેકવીધ આગેવાનો આ તકે સમગ્ર ધર્મયાત્રામાં જોડાયા હતા. ખૂબ જ વિશાળ અને જોવાલાયક શોભાયાત્રામાં અષ્ટમંગલ, ચૌદ સ્વપના, ભગવાનનો રથ, વિખ્યાત રાસમંડળી, જૈનોનું બોટાદ બેન્ડ, ૩૦ થી વધુ ફલોટ્સ, ૭૦ થી વધુ કાર, ૧૦૦ બાઈક-સ્કુટર, સુશોભીત સાઈકલ, બુલેટ સવાર શ્રાવિકાઓ, સુશોભીત વાહનો, ડી.જે., મંડળની કળશધારી બહેનો, મોટી શ્રાવક-શ્રાવિકાઓ, અનુકંપા રથ વિગેરે જોડાયા હતા.
અકિલા સર્કલ ખાતે બાળકોની વેશભુષા સ્પર્ધામાં ૧૫૦ થી વધુ બાળકો, રંગોળી સ્પર્ધામાં અનેક સ્પર્ધકો, વિશેષ આકર્ષણ એવુ એસ્ટ્રોન ચોક ખાતે વિર પ્રભુનું પારણું સહિતનાં આકર્ષણો થકી પણ અનેક લોકો આ ધર્મયાત્રામાં જોડાયા હતા. બોટાદથી ખાસ આ ધર્મયાત્રામાં આવેલ જૈનો નાં બેન્ડ દ્વારા સમગ્ર યાત્રામાં સંગીતની સુમધુર સુરાવલીઓ વહેવડાવી હતી.
ગોંડલ સંપ્રદાયનાં પૂ. ધિરજમુની મહારાજ સાહેબએ આશિર્વચન પાઠવતા સૌ પહેલા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી બદલ જૈનમ્ પરિવારને ખૂબ બીરદાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે, જેને મહાવીરની આજ્ઞા ગમે, આજ્ઞા અનુસરે તે સાચો અનુયાયી, ધર્માનુરાગી આજના વર્તમાન સમયમાં મહાવીર સ્વામીને માનનારા વધારે પણ એમની આજ્ઞાની માનનારા બહુ ઓછા છે. આજના દિવસે સૌ સંકલ્પ કરીએ કે આપણે મહાવીર સ્વામીની આજ્ઞાના પાલનહાર બનીશું. જેમને મહાવીરની આજ્ઞા સ્વીકારી છે તેનું કલ્યાણ થયા વગર રહ્યું નથી. સાથે માત્ર વાતો નહિં પણ પ્રેકટીકલ બનવા સલાહ આપી હતી. માત્ર ધર્મ જ નહિં રાષ્ટ્રની આજ્ઞા, સમાજની આજ્ઞા પણ એટલા જ મહત્વના છે. વ્યક્તિ પોતે પોતાને મળેલી ફરજો બજાવે એ પણ મહાવીરની આજ્ઞાનું એક પ્રકારે પાલન જ ગણાશે.
કાંતીક્રારી વિચારક પૂ. જે. પી. ગુરૂજી મહારાજ સાહેબએ ધર્મયાત્રા, વરઘોડા, ધર્મસભાના ભવ્ય આયોજન બદલ જૈનમ્ પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં. તેઓએ જણાવેલ કે તમામ જૈન સંપ્રદાય એક જ છે. વ્યક્તિ જો નિયત અને ઇન્સાનિયત રાખે તો અવશ્ય બેડો પાર થઇ જાય. વર્તમાન સમયમાં ભગવાન મહાવીરના સાચા અનુયાયી કોણ ગણાય એ સમજાવતા જણાવ્યું હતું કે, ખોટું કામ કરતા જેના હાથ કાંપે, ખોટી વાત કરતાં જેના હોઠ કાંપે, ખોટો વિચાર કરતાં જેનું હૈયુ કાંપે તે જ સાચો અનુયાયી. કોઇપણ આયોજનને જયારે જૈનમ્નું પીઠ બળ મળે ત્યાં અવશ્ય જય-વિજય થાય.
લિંબડી અજરામર સંપ્રદાયનાં ડો.નિરંજનમુનિ મહારાજ સાહેબ એ જણાવ્યું હતું કે, જૈનોના ચારેય ફીરકાની એકતાના જે દર્શન ચારેય દિશામાં ફેલાયા છે તેના માટે જૈનમ્ નિમિત્ત બન્યું છે. રાજકોટનાં સમગ્ર જૈન સમાજની એકતા કાયમ આ રીતે બનેલી રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતાં. ભગવાન મહાવીરને જેને આત્મસાત કર્યા છે તેમને સ્વીકાર્યું છે કે, મહાવીર ભગવાનનું શાસન વિજ્ઞાન અને જ્ઞાનનો સમન્વય છે.
કાર્યક્રમનાં અધ્યક્ષ તેમજ ક્વેસ્ટ ફાઉન્ડેશન-મુંબઈનાં અજયભાઇ શેઠ એ પોતાના વકત્વમાં જણાવ્યું હતું કે, રાજકોટનાં જૈન સમાજની જંગી મેદનનીને હું પ્રથમવાર જોઇ રહ્યો છે ત્યારે ખુબ જ હર્ષની જૈનમ્ તમામ પ્રવૃત્તિ બદલ બધા કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતાં. વધુમાં જણાવ્યું હતું કે કર્મો તો જીવનમાં આવે અને જાય પણ કર્મોથી જે શીખી જાણે એ સાચો મનુષ્ય. જે જતુ કરે છે તે જીતી જાય છે. તમારૂં જીવન આત્મસાત કરવું હોય તો દાન-તપ-શીલ-જાપ આ ચાર મંત્રોને જીવન મંત્ર બનાવવા જરૂરી છે.
આ તકે ધર્મસભામાં હાજર તમામ સ્થાનકવાસી, દેરાવાસી સહિતનાં સંદ્યનાં પ્રમુખશ્રીઓ દ્વારા અક્ષત વધામણા કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમનાં અંતે તમામ સ્પર્ધાઓ એવી કે ફલોટ સુશોભન, બાળકોની વેશભુષા સ્પર્ધા, કાર-બાઈક-સાઈકલ સુશોભન સ્પર્ધા, રંગોળી સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું સાથે લક્કી ડ્રોનાં ૧૧ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતા.
આ મહોત્સવ અંતર્ગત સુશોભીત ફલોટ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં પહેલા નંબરે પારસધામ દેરાસર, બીજા નંબરે જેએસજી મીડટાઉન સંગીની, ત્રિજા નંબરે મુકત નિલમ મહિલા મંડળ-ગાયત્રીનગર, ચોથા નંબરે લુક એન લર્ન, પાંચમા નંબરે વૃજસ્વામી પાઠશાળા ટીચર ગ્રુપ ને વિજેતા જાહેર કરેલ છે.
આ ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ભાગ લીધેલ સ્પર્ધકોએ અથાગ્ મહેનતથી મનમોહક રંગોળી બનાવેલ જેમાં પ્રથમ નંબરે તુલશીબેન કાલરીયા, બીજા નંબરે રશ્મિબેન અઘેરા, ત્રિજા નંબરે તુલસીબેન દફતરી, ચોથા નંબરે વિનંતીબેન મહેતા, પાંચમા નંબરે ભાવીનીબેન ભણસાલીને વિજેતા જાહેર કરેલ અને તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.
આ મહોત્સવ અંતર્ગત સુશોભીત બાઈકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં પહેલા નંબરે કિરણબેન શાહ, બીજા નંબરે કામીનીબેન દોશી, ત્રિજા નંબરે જેશીકાબેન કોઠારી, ચોથા નંબરે રીધ્ધીબેન પંચમીયા, અને સાઈકલ સુશોભનમાં સાર્થક મહેતા તેમજ કાર સુશોભનમાં બકુલેશભાઈ કામદારને વિજેતા જાહેર કરેલ છે.
આ મહોત્સવ અંતર્ગત બાળકો માટે જૈનીઝીમના થીમ ઉપર વેશભુષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમા ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બોયઝમાં પહેલા નંબરે ક્રિશ શાહ, બીજા નંબરે અર્હમ નીપૂણભાઈ દોશી, ત્રિજા નંબરે હાર્દિવ દોશી, ચોથા નંબરે પુજન કોરડીયા, પાંચમા નંબરે લક્ષ દામાણી તેમજ ગર્લ્સમાં પ્રથમ નંબરે મીતાશી દોશી,બીજા નંબરે પ્રિશા મહેતા, ત્રિજા નંબરે દેવના દોશી, ચોથા નંબરે ક્રેયા વોરા તેમજ પાંચમા નંબરે પ્રાપ્તી શેઠ વિજેતા જાહેર કરેલ છે.
આ ઉ૫રાંત ૧૦ વર્ષથી ઉપરની ઉંમરનાં બોયઝમાં પહેલા નંબરે અક્ષત ભણસાલી, બીજા નંબરે અક્ષત મહેતા, ત્રિજા નંબરે હેત ખાખરા, ચોથા નંબરે તીર્થ શેઠ, પાંચમા નંબરે સ્મીત પંચમીયા તેમજ ગર્લ્સમાં પ્રથમ નંબરે નીયતી શેઠ,બીજા નંબરે માહી હપાણી, ત્રિજા નંબરે પ્રીયલ વોરા, ચોથા નંબરે હેત્વી ચાપાનેરી તેમજ પાંચમા નંબરે સિઘ્ધી ઢોલીયા વિજેતા જાહેર કરેલ છે.