Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પગના દુઃખાવાની દવા પીધા બાદ શરીર પર ફોડલા ઉપડી આવ્યાઃ કેતન પરમારનું મોત

લુહાર યુવાને દેવપરાની લોટસ હોસ્પિટલમાંથી દવા લીધી હતીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ યુવાન દિકરાના અચાનક મોતથી પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ પર રામરણુજા સોસાયટી-૧માં રહેતાં લુહાર યુવાન કેતન અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૯)એ પગના દુઃખાવાની દવા પીધા બાદ રિએકશન આવતાં અને આખા શરીરે ફોડલા ઉપડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.

કેતન બે ભાઇમાં મોટો હતો અને કારખાનામં કામ કરતો હતો. તે અપરિણીત હતો. તેના પિતા અરવિંદભાઇ ભીમજીભાઇ પરમારે જણાવ્યું હતું કે કેતનને હરસ થયા હોઇ તેની દવા ચાલુ હતી. એ પછી એક જ પડખે સુઇ રહેવાને કારણે પગમાં દુઃખાવો થઇ ગયો હતો. આ દુઃખાવાની દવા કોઠારીયા રોડ દેવપરાની ખાનગી હોસ્પિટલમાંથી પરમ દિવસે લીધી હતી.

દવા પીધા પછી થોડી જ વારમાં આખા શરીરે ફોડલા થઇ ગયા હતાં. આથી અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. ધીરૂભાઇ પરમાર અને કિરીટભાઇ રામાવતે પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરી છે. મોત દવાના રિએકશન અને તબિબની બેદરકારીથી થયું કે કેમ? તે અંગે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. યુવાન દિકરાના અચાનક મોતથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

(12:13 pm IST)