News of Thursday, 16th February 2023
રાજકોટ છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલતું સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ ૨૦૨૩માં પણ સફળતાપૂર્વક વહન કરે તે સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “સુજલામ સુફલામ જળ અભિયાન - ૨૦૨૩”ની સર્વે જિલ્લા કલેટરઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મુખ્ય સચિવ રાજ કુમારે પ્રેઝન્ટેશન મારફત સર્વે જિલ્લા કલેકટરઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૩માં આ અભિયાન ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે સુધી ચાલનાર છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીશ્રીઓએ કામ કરવું જોઈએ. સાથો સાથ રાજ કુમારે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મુખ્ય સચિવને રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવનાર પ્લાનીંગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ નાગરીકોના સ્વાસ્થ્યને અસર કરતી કામગીરીમાં જિલ્લાના ૨૭ ડેમ, ચેકડેમ, વોટર સંપ, પાણી અને ગટરની પાઈપ લાઈન, વાસ્મો હેઠળની લાઈન, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ કરવા સહિતની કામગીરી કરવા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્ત્મ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર આશિષ કુમાર, પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુંમર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.