Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોરબી રોડ શિવધારાના જય આંબલીયાનું વિઠ્ઠલવાવ પાસે વાડીના કૂવામાં પડી જતાં મોત

૨૪ વર્ષિય યુવાન વાડીએ ગયા બાદ મોડે સુધી પાછો ન આવતાં મોટા ભાઇએ શોધખોળ કરીઃ વાડીએ બાઇક મળતાં કૂવામાં તપાસ કરતાં તેમાંથી લાશ મળીઃ બે વર્ષ પહેલા લગ્ન થયા'તા

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતો ૨૪ વર્ષિય યુવાન સાંજે રાજકોટ-ભાવનગર હાઇવે પર વિઠ્ઠલવાવ નજીક આવેલી પોતાની વાડીએ આટો મારવા ગયા બાદ મોડે સુધી પાછો ન આવતાં તેના મોટા ભાઇ શોધવા નીકળતાં વાડીના કૂવામાંથી લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ શિવધારા રેસિડેન્‍સી-૨માં રહેતો જય ચેતનભાઇ આંબલીયા (ઉ.વ.૨૪) સાંજે પોતાની વાડીએ ગયો હતો. તે પરત ન આવતાં મોટા ભાઇ  ધર્મેશભાઇ શોધખોળ કરવા નીકળ્‍યા હતાં. તે વાડીએ પહોંચ્‍યા ત્‍યારે જયનું બાઇક ત્‍યાં જોતાં તપાસ કરતાં જય કૂવામાં પડી ગયાનું જણાયું હતું. ફાયર બ્રિગેડને જાણ કરતાં જવાનો શાહરૂખખાન, વિશાલભાઇ, ભરતસિંહ, અર્જુનભાઇ, ભીખાભાઇ સહિતે પહોંચી મૃતદેહ મોડી રાતે સવા બે વાગ્‍યે પચાસ ફુટ ઉંડા કુવામાંથી બહાર કાઢી પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્‍સ. દિલીપસિંહ જાદવ સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર જય બે ભાઇમાં નાનો હતો અને બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. તે અકસ્‍માતે કૂવામાં પડી ગયો હતો. તરતા ન આવડતું હોઇ ડૂબી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. યુવાન દિકરાના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

(4:27 pm IST)