Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

બેભાન હાલતમાં બે યુવાન અને એક પ્રોૈઢના મોત

ખોડિયારનગરના નિલેષ ચાવડા, આશાપુરા પાર્કના જયેશ સોલંકી અને લાખાજીરાજનગરના જસવંતભાઇએ દમ તોડયો

રાજકોટ તા. ૧૬: બેભાન હાલતમાં બે યુવાન સહિત ત્રણને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં સ્‍વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આજી વસાહત ખોડિયારનગર-૨૩માં રહેતો નિલેષ ધરમશીભાઇ ચાવડા (ઉ.વ.૨૩) સવારે બાથરૂમ ગયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. નિલેષના લગ્ન હજુ એક વર્ષ પહેલા જ થયા હતાં. તે છુટક મજૂરી કામ કરતો હતો અને બે ભાઇ તથા બે બહેનમાં વચેટ હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં મોરબી રોડ આશાપુરા પાર્કમાં રહેતાં જયેશ માનસિંગભાઇ સોલંકી (ઉ.વ.૩૦) નામના યુવાનને તે સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેને કેન્‍સરની બિમારી હતી. તે પ્‍લાસ્‍ટીક બંગડીનું કામ કરતો હતો અને ચાર ભાઇ તથા ત્રણ બહેનમાં વચેટ હતો. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા તથા બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

ત્રીજા બનાવમાં દૂધ સાગર રોડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૧૨માં રહેતાં જસવંતભાઇ શીવાભાઇ રાઠોડ (ઉ.વ.૫૬) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. થોરાળા પોલીસે આ અંગે જાણ કરવામાં આવી હતી.

(2:41 pm IST)