Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

પોપટપરાના પ્રવિણાબા ગોહિલનું કારની ઠોકરે ચડતાં મોતઃ ભાગી ગયેલા કાર ચાલકની શોધ

કોઠારીયા રીંગ રોડ રામપાર્ક પાસે રસ્‍તો ઓળંગતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રીંગ રોડ પર રામપાર્ક સોસાયટી પાસે ‘હિટ એન્‍ડ રન'ના બનાવમાં પોપટપરા કૃષ્‍ણનગરના મહિલા પ્રવિણાબા રાજેન્‍દ્રસિંહ ગોહિલ (ઉ.વ.૪૫)નું મોત નિપજ્‍યું છે. તેઓ રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ પોપટપરા કૃષ્‍ણનગર-૩-એમાં રહેતાં પ્રવિણાબા ગોહિલ કેટરીંગના રસોડાનું કામ કરતાં હોઇ ગઇકાલે તેઓ કોઠારીયા રીંગ રોડ તરફ કામ માટે ગયા હતાં. ત્‍યાં રામપાર્ક સોસાયટી સામેના ભાગે સાંજે સાડા છએક વાગ્‍યે ચાલીને રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે કોઠારીયા ચોકડી તરફથી બંબાટ ઝડપે આવેલી કારના ચાલકે ઉલાળી દેતાં માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ પડી ગયા હતાં. અકસ્‍માત સર્જી ચાલક કાર લઇને ભાગી ગયો હતો. પ્રવિણાબાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં સ્‍વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.હોસ્‍પિટલ ચોકી મારફત જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆ વી. બી. સુખાનંદીએ પહોંચી મૃત્‍યુ પામનારના ભાઇ પોપટપરા કૃષ્‍ણનગરમાં રહેતાં કેબલ ઓપરેટર બળદેવસિંહ ભાભુભા જાડેજા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી અજાણી કારના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

મૃત્‍યુ પામનાર પ્રવિણાબાના પતિ હયાત નથી. તેઓ તેમના ભાઇના ઘર પાસે ભાડેથી રહેતા હતાં અને રસોડાનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં એક દિકરીના લગ્ન થયા છે. ચાર સંતાનો પિતા બાદ માતા વિહોણા થઇ જતાં એરરાટી વ્‍યાપી  ગઇ હતી. પોલીસે ભાગી ગયેલા કાર ચાલકની તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)