Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

'હાલ મારા ભેગી હાલતી થઇ જા'...વકિલે આંખ મારી પરિણીતાની છેડતી કરી ધમકાવતાં સળીયાના ઘા ફટકારી પગ ભાંગી નંખાયો

ધ્રોલ રહેતાં એડવોકેટ હેમંત ચાવડાએ સતત બે દિવસથી રાજકોટ આવી હેરાનગતિ ચાલુ કર્યાની ચોંકાવનારી ફરિયાદ : વકિલે ફરિયાદમાં લખાવ્યું-મુળ ધ્રોલની પરિણીતા સાથે પ્રેમસંબંધનું મનદુઃખ હોઇ તેના કારણે તેણીના ભાઇ-પતિ સહિતે હુમલો કર્યોઃ પોતે મામાના ઘરે કામ સબબ આવ્યો'તોઃ ગાંધીગ્રામ શાસ્ત્રીનગરનો બનાવઃ પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૨૩: ધ્રોલ રહેતાં અને વકિલાત કરતાં યુવાન પર રાજકોટ ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં પ્રેમસંબંધના મનદુઃખમાં યુવતિના ભાઇ, પતિ સહિત ત્રણ જણાએ લોખંડના સળીયાથી હુમલો કરી પગ ભાંગી નાંખી તેમજ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું છે. સામે આ વકિલે પણ પરિણિતાની સામે આંખ મારી છેડતી કરી ચેનચાળા કરતાં અને 'ચાલ મારી સાથે હાલતની થઇ જા નહિતર તારા ઘરવાળાને અને તારા ભાઇઓને મારી નાંખીશ' તેવી ધમકી આપ્યાની અને સતત બે દિવસથી તે હેરાન કરતો હોવાની ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ધ્રોલ ચંદનવાસ ચાર ચોકમાં રહેતાં અને વકિલાત કરતાં હેમંત ઘેલજીભાઇ ચાવડા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી પ્રકાશ ભગવાનજીભાઇ પરમાર, માધવજી મુળજીભાઇ પરમાર અને પિયુષ દામજીભાઇ કંટેશીયા સામે આઇપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

હેમંતએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું માતા-પિતા સાથે રહુ છું અને વકિલાત કરી ગુજરાન ચલાવું છું. અમે છ ભાઇ બહેન છીએ, મારા લગ્ન થયા નથી.  સોમવારે સાંજે ચારેક વાગ્યે હું એકલો ધ્રોલથી રાજકોટ આવવા માટે ઇકો ગાડીમાં બેઠો હતો અને રાજકોટ માધાપર ચોકડીએ સાંજે પાંચેક વાગ્યે ઉતર્યો હતો. મારા મામાના ઘરે કામ હોઇ જેથી હું રાજકોટ આવ્યો હતો. માધાપર ચોકડીથી રિક્ષામાં બેસી ગાંધીગ્રામ રામાપીર ચોકડીએ ઉતર્યો હતો. ત્યાંથી મામા અરજણભાઇ ચનાભાઇ પરમારને મળ્યો હતો.

તેની પાસેથી બાઇક લઇ યાદવ પાન પાસે ફાકી ખાવા ગયો હતો. ત્યાં અમારે અગાઉ ધ્રોલમાં માથાકુટ થઇ હોઇ તે પ્રકાશ ભગવાનજી પરમાર, માધવજી પરમાર અને તેના સગા પિયુષ એમ ત્રણેય ઉભા હોઇ મને જોઇ જતાં મને રોકયો હતો. પિયુષે જેમેતમ ગાળો ભાંડતાં મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાની પાસેનો લોખંડનો સળીયો મને ડાબા પગે ગોઠણ નીચે ફટકારી દેતાં ગંભીર ઇજા થઇ હતી.

પ્રકાશ અને માધવજીએ પણ સળીયાથી માર માર્યો હતો તેમજ ઢીકાપાટુ પણ માર્યા હતાં. આ ત્રણેયને હું ધ્રોલમાં રહેતો હોવાથી ઓળખુ છું. એ પછી કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્પિટલે ખસેડ્યો હતો. તબિબી તપાસમાં ડાબા પગે ફ્રેકચર થયાનું નિદાન થયું હતું.

હુમલાનું કારણ એ છે કે મુળ ધ્રોલની પરિણિતા સાથે મારે પ્રેમસંબંધ હોઇ તેમજ જુના ઝઘડાનું મનદુઃખ હોઇ જેથી ખાર રાખી તેણીના ભાઇ પ્રકાશ સહિતે ત્રણેયે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દીધી હતી. આ બનાવ ગાંધીગ્રામ શાસ્ત્રીનગર આકાશ ડેરી પાસે બન્યો હતો. પીએસઆઇ બી. જી. ડાંગરે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

વકિલ સામે નિર્લજ્જ હુમલાની વળતી ફરિયાદ

આ બનાવમાં પોલીસે ધ્રોલ રહેતાં વકિલ હેમંત ઘેલજીભાઇ ચાવડા સામે પણ જામનગર સાસરૂ ધરાવતી પરિણીતા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૫૪ (ક) (ઘ), ૫૦૬ (૨) મુજબ તેણીની સામે જોઇ આંખ મારી બિભત્સ ચેનચાળા કરી છેડતી કરતાં ના પાડતાં મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારું મુળ ગામ ધ્રોલ છે. મારા માતા ત્યાં રહે છે. લગ્ન ગયા વર્ષે જ થયા છે. હાલમાં રાજકોટ શાસ્ત્રીનગરમાં અમારા મકાનનું રિનોવેશન ચાલતું હોઇ મારા બંને ભાઇઓ અહિ હોઇ જેથી હું, મારા પતિ સાથે અહિ આવી છું. સોમવારે સાંજે સાતેક વાગ્યે હું મારા મોટાભાઇ મારા બહેનના દિકરાને લઇને બહાર ડેલીએ બેઠા હતાં ત્યારે ધ્રોલ રહેતો હેમંત ચાવડા ઘર પાસેથી પસાર થયેલ અને દૂર ઉભો રહી મને આંખ મારતો હોઇ તેમજ બિભત્સ ચાળા કરતો હોઇ તેમજ 'ચાલ મારી સાથે હાલતી થઇ જા નહિતર તારા ઘરવાળાને અને તારા બંને ભાઇને જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી ચાલતો થઇ જતો હતો. આવું તે સતત બે દિવસથી કરતો હતો. તેવો આરોપ ફરિયાદમાં મુકાયાો છે.

પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કેહેમંત સાથે હું દોઢેક વર્ષ પહેલા ધ્રોલ મારા પિયરે હતી ત્યારે ફોનમાં વાતચીત કરતી હતી. લગ્ન બાદ કદી ફોન કર્યો નથી અને કોઇ સંબંધ પણ નહોતો. છતાં હેમંત અવાર-નવાર મારો પીછો કરતો હતો. ગત સાંજે તે ઘર પાસે આવી છેડતી કરતો હોઇ તે વખતે મારો પતિ પિયુષ તથા ભાઇ પ્રકાશ આવી જતાં તેણે હેમતને રોકયો હતો અને મારકુટ કરી હતી. પીએસઆઇ બી. જી. ડાંગરે આ મામલે હેમંત ચાવડા સામે ગુનો નોંધ્યો છે.

(11:45 am IST)