Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ખાનગી કોવિડ હોસ્પિટલે હાથ ઉંચા કરી દીધા બાદ રાજકોટના ભરતભાઇ ધરજીયાને સિવિલમાં જીવત દાન મળ્યું

સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવારનો જીવતો જાગતો પુરાવો : ફેફસાની ટ્રીટમેન્ટ માટે ખાનગી હોસ્પિટલોમાં ૧૦ દિવસ વેન્ટીલેટર પર રાખીને ઘરે જવાનું કહી દેવાયું બાદમાં સિવિલ હોસ્પિટલમાં માત્ર બે દિવસની સારવારમાં જ દર્દી બેઠા થઇ ગ્યા

રાજકોટ, તા.૨૩ : ખાનગી હોસ્પિટલની સામે સરકારી હોસ્પિટલમાં સચોટ નિઃશુલ્ક સારવાર મળી રહ્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે આલાપ એવન્યુ, રાજકોટમાં રહેતા ભરતભાઈ ધરજીયાની તબિયત બગાડતા ગત તા. ૯ માર્ચના રોજ કોવીડ ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનો આર.ટી.પી.સી.આર. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમના ફેફસા ડેમેજ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવ્યું હતું. વેન્ટિલેટર પર તેમને ૧૦ દિવસ સુધી રાખવામાં આવ્યા તેમ છતાં દર્દીની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં.  ઉલટાની તેમની તબિયત વધુ બગાડવા લાગી. ડોકટરોએ કહયું કે હવે તેમના બન્ને ફેફસા ડેમેજ થઈ ગયા છે તમે ઘરે લઈ જાવ.

આ વાત સાંભળતા તેમના પરિવારજનો પર દુઃખના વાદળો તૂટી પડ્યા. આવા સમયે તેમને મદદે આવ્યા તેમના ફેમિલી ડો. હિરેન વિસાણી. તેઓએ દર્દી ભરતભાઈને રાજકોટ સિવિલમાં દાખલ થવાની સલાહ આપી અને તેમને ગત. તા. ૧૯ માર્ચના રોજ એડમિટ કરવામાં  મદદ કરી. માત્ર બે દિવસની સારવારમાં તેમની તબિયતમાં સુધારો આવ્યાનું તેમના પરિવારજનોએ જણાવ્યું છે.

આ માટે તેઓએ સિવિલના ટી.બી.સી.ડી. વિભાગ, ડો. વિઠલાણી, ડો. બિનાબેન તેમજ ડો. શ્રુતિ ગોહિલ, સ્ટાફ નર્સ અંકિતા ગોહિલ સમગ્ર ડોકટર્સની ટીમ અને નર્સિંગ સ્ટાફથા સુપ્રિટેન્ડન્ટશ્રીનો આભાર માન્યો હતો.

(4:07 pm IST)