Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

શહેર પોલીસના નિવૃત એએસઆઇ અશોકભાઇ ઘેલાણીનું અવસાનઃ કોરોના સામે જિંદગી હાર્યા

નાના મવા સર્કલ પાસે વિવિધ કર્મચારી સોસાયટીમાં રહેણાંક ધરાવતાં અશોકભાઇએ શહેર ક્રાઇમ બ્રાંચ, પોલીસ કન્ટ્રોલ રૂમ, એસીબી સહિતમાં પ્રશંસનિય કામગીરી કરી હતીઃ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા

રાજકોટ તા. ૨૫: શહેર પોલીસના નિવૃત એએસઆઇ અશોકભાઇ પન્નાલાલ ઘેલાણી (ઉ.વ.૬૧)નું મોડી રાત્રે દુઃખદ અવસાન થયું છે. અશોકભાઇને અઠવાડીયા પહેલા કોરોના પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશનમાં રહી સારવાર લીધી હતી. છેલ્લા બે દિવસથી અચાનક જ તબિયત બગડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગતાં ગઇકાલે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમશ્વાસ લેતાં પરિવારજનો, બહોળા મિત્રવર્તુળો, સગા સ્નેહીઓ અને પોલીસબેડામાં શોક છવાઇ ગયો હતો.

અશોકભાઇ ઘેલાણી શહેર પોલીસની મહત્વની ક્રાઇમ બ્રાંચમાં તેમજ એસીબીમાં અને કન્ટ્રોલ રૂમ સહિતના વિભાગોમાં પોતાના કાર્યકાળ દરમિયાન ખુબ જ પ્રસંશનિય નોંધપાત્ર ફરજ બજાવી હતી. સરળ, મળતાવડા સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં હતાં. ૨૦૧૯માં ફરજમાંથી નિવૃત થયા બાદ નાના મવા સર્કલ નજીક વિવિધ કર્મચારી સોસાયટી ખાતેના નિવાસ સ્થાને માતા-પિતા-ધર્મપત્નિ સહિતના સ્વજનો સાથે નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. બનાવની જાણ થતાં પોલીસબેડામાં, મિત્રવર્તુળોમાં ઉંડા આઘાતની લાગણી છવાઇ ગઇ છે.

(11:35 am IST)