dir="auto">
રાજકોટ :"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ગુજ ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા "ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત સાઈકલોથોન"નું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રવિવારે તા.૨૬/૧૨/૨૦૨૧નાં રોજ સવારે ૭.૧૫ વાગ્યે શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજ્યનાં વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગના માન. મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી માન. ડૉ.ધનસુખભાઈ ભંડેરીના ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને માન. મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી રાજેશ્રીબેન ડોડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ સાયકલોથોનમાં ભાગ લેનાર સૌ શહેરીજનોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બને અને તંદુરસ્ત રહે તેવા શુભ આશય સાથે "ફિટ ઇન્ડિયા" રાષ્ટ્રીય અભિયાન શરૂ કરાવ્યું હતું, જે અભિયાનમાં ગુજરાત રાજ્ય પણ પોતાનું યોગદાન આપી રહયું છે. ગુજરાતે "ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત" અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને શારીરિક માનસિક રીતે સ્વસ્થ રહેવા જાગૃત કર્યા છે. મને એ જોઈને આનંદ થાય છે કે, આજના "સાઈક્લોથોન" ઇવેન્ટમાં આટલી બહોળી સંખ્યામાં સાઈકલ સવારો સામેલ થયા છે એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છુ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં અવારનવાર યોજવામાં આવતી વિવિધ ખેલકૂદ સ્પર્ધાઓમાં રાજકોટ મહાનગરપાલિકા સહભાગી બને છે અને રમતવીરોને પ્રોત્સાહિત કરે છે. આ અગાઉ મેરેથોન જેવા આયોજનો થકી લોકોને પોતાની તંદુરસ્તી માટે જાગૃત કર્યા છે. આ ઉપરાંત "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણીનો આશય પણ એ જ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લોકો માટે ખેલકૂદની પ્રવૃતિઓ માટેની અનેકવિધ સુવિધાઓ જેવી કે, એથ્લેટિક ટ્રેક, હોકી મેદાન, ફૂટબોલ મેદાન, ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ, ઇન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ વગેરે જેવી રમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલી છે તેનો લોકો દ્વારા મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે તે ખુબ આનંદની વાત છે.
આ પ્રસંગે ઉદબોધન કરતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ડૉ. ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, સુશાસન સપ્તાહના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છુ, સાયકલોથોનમાં રાજકોટવાસીઓ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે જે ખુબ આનદની વાત છે તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે કસરત એ શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય છે. માનવીના મન અને તન સુંદર હોવા જોઈએ જે કસરત કરવાથી સુંદર અને સ્વસ્થ બને છે. આં કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વૃધ્ધોએ પણ ભાગ લીધો છે તે સરાહનીય છે.
ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા જણાવતા મેયરશ્રી ડો. પ્રદિપ ડવએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સાયકલોથોન યોજવામાં આવી છે જેમાં ૧૨૩૫ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ૨૦૦૦ જેટલા શહેરીજનો ઉત્સાહભેર જોડાયા એ બદલ સૌ નાગરિકોને હૃદયથી આવકારું છું. રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોના સ્વાસ્થ્ય માટે તેમજ શારીરિક સુસજ્જતા માટે જરૂરી તમામ આયોજનો સફળતાપૂર્વક કરે છે તેમજ સેવા ઉપલબ્ધ બનાવે છે.
"ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન" ઇવેન્ટ માટે બે રૂટ નક્કી કરવામાં આવેલ છે. જેમાં રૂટ-૧ માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેથી ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-ડો. યાજ્ઞિક રોડ-એસ.ટી. બસ સ્ટેન્ડ- નાગરિક બેંક ચોક, ઢેબરભાઈ રોડ- ત્યાંથી પછી જમણી બાજુ વળતા પાસપોર્ટ ઓફિસ-ભક્તિનગર સ્ટેશન પ્લોટ-એસ્ટ્રોન ચોક-અમિન માર્ગ-RML-૧૫૦ ફૂટ રિંગ રોડ-નાના મવા સર્કલ- ત્યાંથી પછી જમણી બાજુ વળતા મોકાજી સર્કલ-ત્યાંથી પછી જમણી બાજુ વળીને ક્રિસ્ટલ મોલ-એસ.એન.કે. સ્કૂલ-સાધુ વાસવાણી રોડ-રૈયા રોડ-ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-૧ પૂર્ણ થશે
જ્યારે રૂટ-૨ માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસે ના ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-બહુમાળી ભવન-પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ-એન.સી.સી. સર્કલ-બાલ ભવન ગેઈટ, રેસકોર્સ, અને ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-૨ પૂર્ણ થશે.
આ સાયક્લોથોનમાં ૧૨૩૫ થી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મેયરશ્રી ડો. પ્રદિપ ડવ સહીત ૨૦૦૦ જેટલા નાગરિક સાયકલીંગમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલે બુકે આપી સ્વાગત કર્યું હતું અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ અને તેમના બે સંતાનોએ સાયકલોથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો
સાયકલોથોનની આ ઇવેન્ટમાં રાજકોટના મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ અને તેમના બે સંતાનો પ્રિયાંશી (ઉ.વ. ૧૨) અને હિતાર્થ (ઉ.વ. ૭)એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા અન્ય લોકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
૮૫ વર્ષીય નાગરિકે પણ જુસ્સાભેર ભાગ લીધો
આ ઇવેન્ટમાં ૮૫ વર્ષીય સાયક્લીસ્ટ શ્રી રજનીભાઈ પુજારાએ તમ્બાકુ સહિતના વ્યસનોથી દુર રહી કેન્સરથી બચવાનો સંદેશ આપતી પત્રિકા પોતાની સાથે રાખી સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાયકલોથોનમાં ભાગ લઇ લોકોને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા હતા. તેમનો આ જુસ્સો જોઈને મંચસ્થ મહાનુભાવોએ તેમને રૂબરૂ મળી બિરદાવ્યા હતા.
ફિટનેસ કાર્નિવલમાં લોકોનો ઉત્સાહ વધારતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા
રેસકોર્ષ સ્થિત શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી પાસે ચાલતા ફિટનેસ કાર્નિવલમાં દરરોજ વહેલી સવારે સંગીત અને વ્યાયામના સથવારે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરતા ભાઈ-બહેનોના આજના વ્યાયામ સેસનમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર, શ્રી ચેતન નંદાણી અને શ્રી એ. આર.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક “પ્લેક્સસ કાર્ડીયાક કેર”ના હોદ્દેદારો તથા તમામ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો અને આવી સુંદર રચનાત્મક પ્રવૃત્તિ માટે રાજકોટ મહાનગરપાલિકાનો સહયોગ મળતો રહેશે તેમ જણાવ્યું હતું