Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં ગટરમાંથી મૃત માનવ ભ્રુણ મળતાં ચકચાર

સફાઇ કામદાર કામે આવ્યા ત્યારે નજર પડીઃ પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૨૭: ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં ગટરમાંથી મૃત માનવ ભ્રુણ મળી આવતાં લોકોમાં ચકચાર જાગી હતી.

જાણવા મળ્યા મુજબ સવારે એક સફાઇ કામદાર આંબેડકરનગર શેરી નં. ૧૩માં તેમના કામ માટે આવ્યા ત્યારે તેની નજર ગટરમાં એક મૃત માનવ ભ્રુણ પર પડતાં તે ચોંકી ગયેલ. આ અંગે વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. કોઇએ પોલીસને જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ ગીતાબેન પંડ્યા સહિતે ત્યાં પહોંચી મૃત માનવ ભ્રુણ કબ્જે કરી સિવિલ હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યું હતું. આ ભ્રુણ આશરે ત્રણથી ચાર માસનું હોવાનું જણાયું હતું. ગેરકાયદે ગર્ભપાત કરીને આ ભ્રુણનો નિકાલ કરાયો કે પછી કુદરતી ગર્ભપાત થઇ જતાં કોઇએ ગટરમાં ફેંકી દીધું? તેની તપાસ થઇ રહી છે.

(3:59 pm IST)