Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા તા. ૨૩માર્ચના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે.

દેવભૂમિ દ્વારકા; લોકોના પ્રશ્નો / ફરિયાદો / રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઇ શકે તે હેતુથી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા. ૨૩-૦૩-૨૦૨૩ના રોજ સવારના ૧૧ કલાકે કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકા ખાતે, મુ. ખંભાળિયા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ જે અનિર્ણિત હોય. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદારો જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને અરજદાર જાતે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆત કરી નહીં શકાય તેમ નિવાસી અધિક કલેકટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(11:00 pm IST)