Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મોરબીમાં જમીનના સોદામાં ૩.પ કરોડની ઠગાઇમાં પિન્‍ટુ અને અલ્‍પેશ નકુમ રીમાન્‍ડ પર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૦ :  મોરબીમાં વજેપર સર્વે નંબરની જમીનને સોદા પેટે રૂ ૩.૫ કરોડ લીધા બાદ દલાલ સહિતના આઠ ઇસમોએ રકમ ઓળવી જઈને ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ પોલીસે બે આરોપીને ઝડપી લઇ રીમાન્‍ડ ઉપર લીધેલ છે.

મોરબીના આલાપ રોડ પર શિવાલિક એપાર્ટમેન્‍ટના રહેવાસી ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અંબારામભાઈ ડાયાભાઇ પટેલ, અશોકભાઈ દામજીભાઈ કાસુન્‍દ્રા, ચુનીલાલ મકનભાઈ સતવારા, હરેશભાઈ ઉર્ફે હકાભાઇ નારણભાઈ જાકાસણીયા, મુકેશભાઈ નારણભાઈ કણઝારીયા, સવિતાબેન ભગવાનજીભાઈ નકુમ, પીન્‍ટુભાઈ ભગવાનજીભાઈ નકુમ અને અલ્‍પેશ ભગવાનજીભાઈ નકુમ રહે બધા મોરબી વાળાએ ૩.૫ કરોડ લઈને ફરિયાદી સાથે ચીટીંગ કરી છે

 જેમાં આરોપીઓ પૈકી અંબારામભાઈ પટેલે વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ અને સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર. ચો.મી વેચવાની હોવાનું જણાવી અંબારામભાઈ પટેલ, ચુનીલાલ દલવાડી, અશોક કાસુન્‍દ્રા, હરેશભાઈ જાકાસણીયાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરિયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન અને સાક્ષી તરીકે પીન્‍ટુભાઈ અને અલ્‍પેશ બધાએ પૂર્વ નિયોજિત કાવતરું રચીને જમીનના માલિક કાંતાબેન અને તેના બંને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી સવિતાબેનને કાંતાબેન તરીકે દર્શાવી ખોટું સોદાખત કરી જમીન વેચાણ આપવાનું વચન આપી રૂપિયા સાડા ત્રણ કરોડ લઈને તમામ રકમ ઓળવી ગયા હતા અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી પીન્‍ટુભાઈ ભગવાનજીભાઈ નકુમ અને અલ્‍પેશ ભગવાનજીભાઈ નકુમ એમ બે આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૩ સુધીના પોલીસ રિમાન્‍ડ પર સોપ્‍યા છે તો ચીટીંગ કેસમાં દલાલ સહિતના આરોપીઓ હજુ ફરાર હોય જેને ઝડપી લેવા ટીમ તપાસ ચલાવી રહી છે. 

(1:16 pm IST)