Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

માળીયામિંયાણાના વીરવિદરકા ગામે રોહિતભાઇ સુરેલાની પથ્થર - તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

મૃતક રોહિતભાઇ વાડીમાં આદિવાસી મજુર ભેગો રહેતો'તો : હત્યાના કારણ અને હત્યારાઓ અંગે તપાસનો ધમધમાટ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : મોરબી જીલ્લામાં હત્યા, ચોરી અને લુટ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માળિયા તાલુકાના વીર વિદરકા ગામના તળાવ પાછળથી હત્યા કરાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો છે જે મામલે માળિયા મિંયાણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામેં રહેતા મહેશભાઈ જીવાભાઈ સુરેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનાં ભાઈ રોહિતભાઈ (ઉ.૨૭) ને કોઈ અજાણ્યા ઇસમે કોઈ અગમ્ય કારણોસર પથ્થર તથા તિક્ષ્ણહથિયાર વડે માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મૃતક રોહિત છેલ્લા બે દિવસથી તળાવ નજીક આવેલ બેચરભાઈના વાડામાં આદિવાસી મજુર ભેગો રહેતો હતો અને ઈચ્છા થાય તો ઘરે જતો નહીતર બહાર કોઈ સ્થળે સુઈ જતો હતો.

મૃતક યુવાનના હત્યાના કારણ અને હત્યારાઓ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુ તપાસ માળીયા મિંયાણાના પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:47 am IST)