Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઓછા રસીકરણને લીધે ધોરાજી કોરોનાનું હોટસ્પોટ

કોરોનાની રસીથી નપુંસકતા આવતી હોવાની અફવા : સમગ્ર ગુજરાતમાં ગામડાઓની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં રસીકરણ અંગે ખચકાટ ઓછો જોવા મળ્યો

રાજકોટ, તા.૧૩ :એક અફવાના કારણે આજે રાજકોટ શહેરથી આશરે ૯૦ કિમી દૂર આવેલ ધોરાજી કોવિડ-૧૯ હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે અને રાજકોટ ગ્રામીણ વિસ્તારોમાં કુલ કેસોમાં ૪૦% જેટલા કેસ એકલા આ તાલુકામાં નોંધાયા છે. કોવિડ -૧૯ રસી લેવાથી નપુંસકતા આવે છે તેવા સબબની અફવા સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ રસીકરણ ઝુંબેશથી મોટાભાગનો લોકો દૂર રહેતા હતા. પોતાના ઉર્શના મેળા અને નોન વેજિટેરિઅન ફૂડ આઈટમ માટે ઓળખાતા ધોરાજીમાં સરીકરણની ઝુંબેશ માટે અધિકારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને તેમ છતા લોકોમાં રસી અંગે ભારે ખચકાટને કારણે લોકો ખૂબ જ ઓછી સંખ્યામાં રસી મૂકવવા આગળ આવતા હતા. ધોરાજી એ રાજકોટ જિલ્લાના પાંચ નગરોમાંનું એક છે જેમાં નગરપાલિકા છે અને તે શહેરી વિસ્તાર ગણાય છે. સમગ્ર ગુજરાતમાં ગામડાઓની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં રસીકરણ અંગે ખચકાટ ઓછો હતો, પરંતુ ધોરાજીના કિસ્સામાં આ દ્રશ્ય અલગ હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર, રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં (રાજકોટ શહેર છોડીને) છેલ્લા ૧૧ દિવસમાં કુલ ૪૯૭ લોકો પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી ૧૯૪ એકલા ધોરાજી શહેરમાં છે.આ ઉપરાંત ધોરાજીમાં બે દર્દીના તો સારવાર દરમિયાન મોત પણ નિપજ્યા હતા.

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોરાજીમાં કેસોની સંખ્યા સૌથી વધુ છે કારણ કે ખોટા સોશિયલ મીડિયાના સંદેશાઓ અને અફવાના પગલે નગરપાલિકાના ઘણા વોર્ડમાં રસી લેવા બાબતે લોકોનો ઉગ્ર વિરોધ થયો હતો. ચૌધરીના જણાવ્યા મુજબ અહીં લોકોને એવી ગેરમાન્યતા હતી કે રસી લેવાથી તેઓ નપુંસક બની જશે અને આના પરિણામે રસી માટે તેઓ જરા પણ તૈયાર થતા નહોતા. રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુ અને ડીડીઓ ચૌધરીએ વ્યક્તિગત રીતે ધોરાજીની મુલાકાત લઈને લોકોને રસીકરણ માટે સમજાવ્યા હતા. છેલ્લે અત્યાર સુધીમાં ૧૮ વર્ષથી વધુની વસ્તી માટે ૯૦% ને પ્રથમ ડોઝ અને ૭૫% ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અનુસાર, પ્રથમ ડોઝમાં જ વિલંબ થવાના કારણે અને વસ્તીનો મોટો ભાગ ૨૦ દિવસ પહેલા સુધી તો બીજા ડોઝ માટે પણ પાત્ર ન હતો કારણ કે તેઓએ મેડિકલ ગાઈડ લાઈન મુજબ રસીના પહેલા ડોઝ બાદ ૮૪ દિવસ પૂરા કર્યા ન હતા. સ્થાનિક આરોગ્ય અધિકારીએ કહ્યું, "મોટાભાગની વસ્તીએ બે થી ત્રણ અઠવાડિયા પહેલા જ બીજો ડોઝ લીધો હતો. જ્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રસી પણ બે અઠવાડિયા જેટલો સમય લે છે. આ કારણે વધુમાં વધુ લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે.

મહત્વનું છે કે રાજકોટ જિલ્લાનું ધોરાજી તેના ઉર્સના મેળાવડા અને પોતાની નોનવેજ ડિસિઝ માટે પ્રખ્યાત છે અને રાજકોટ સહિત નજીકના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ધોરાજીમાં રાત્રે તેની ફેમસ નોનવેજ વાનગીઓનો સ્વાદ માણવા માટે જાય છે.

(7:14 pm IST)