Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મોરબી : ૮ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા આપો.

શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળે કલેકટરને આવેદન પાઠવ્યું.

કોડીનાર તાલુકામાં સમાજની ૮ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો શરમજનક બનાવ બન્યો હોય જે બનાવ મામલે આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે
 શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તા. ૧૨ ને રવિવારના રોજ કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો બન્યો હતો જેમાં દશનામ સમાજની ૮ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરી મૃતદેહ કોથળામાં ભરીને ગામના ઝાપા બહાર ફેંકી દીધો હતો જે ઘટનામાં ગીર સોમનાથ જીલ્લા એસપી સહિતના અધિકારીઓએ સતર્કતા દાખવી આરોપી શામજી ભીમા સોલંકીને ઝડપી લીધો છે અને કાર્યવાહી શરુ કરી છે ત્યારે આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને આવી ઘટનાઓને અટકાવવા નરાધમ આરોપીઓ વિરુદ્ધ કડક પગલા લેવા જરૂરી છે
જેથી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતે નિર્ણય કરી આરોપીને ફાંસીની સજા મળી તે રીતે આરોપી શામજીને પણ ફાંસીની સજા થાય તેવી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે જે આવેદન આપતી વેળાએ શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીના પ્રમુખ તેજસગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી અને ટ્રસ્ટી નિતેષગીરી મનહરગીરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(10:09 am IST)