Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાપરના કીડીયાનગર ગામે ઘેટાંને નવડાવતા બે સગા માલધારી ભાઇઓના તળાવમાં ડૂબવાથી મોત

ત્રણ દિ'માં પાણીએ કચ્‍છમાં ૬નો ભોગ લીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ : કચ્‍છના રાપર તા.ના કીડીયાનગર ગામે સીમમાં ઘેટાં ચરાવતાં બે રબારી ભાઈઓના તળાવમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયા હતા.

ઘેટાં ઉપરથી ઉન ઉતરાવવાનું હોવાથી માલધારી યુવાન નાગજી મુરા રબારી (ઉ.૩૮) સીમ તળાવડીમાં ઘેટાં ને નવડાવી રહ્યો હતો. ત્‍યારે કીચડમાં કિનારેથી તેનો પગ લપસતાં તે તળાવમાં પડી ગયો અને પાણીમાં ડુબવા લાગ્‍યો હતો.

ભાઈને પાણીમાં ડૂબતો જોઈ નજીક જ રહેલ નાનો ભાઈ હેમા મૂરા રબારી (ઉ.૨૮) તેને બચાવવા તળાવની અંદર કૂદી પડ્‍યો હતો. પણ, દુર્ભાગ્‍યે બન્ને ભાઈઓ તળાવની અંદર કીચડમાં ખૂપી જતાં પાણીમાં ડૂબી જવાથી તેમના કરૂણ મોત નીપજયા હતા. બન્ને ભાઈઓ ઘેર પાછા ન ફરતાં તેમની શોધખોળ કરી રહેલ પરિવારજનો અને ગામલોકોને બન્નેના મૃતદેહ મળ્‍યા હતા. મૃતક બન્ને પરિણીત હતા. માત્રᅠ ત્રણ દિવસમાં જ વાગડ પંથકમાં ૬ જણાના થયેલા મોતને પગલે અરેરાટી છવાઈ છે.

(2:54 pm IST)