Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વિસાવદરને જોડતી તમામ મીટરગેજ ટ્રેનો કાલથી ચાલુ : પ્રચંડ લોકલાગણીનો વિજય : હર્ષોલ્લાસ

જૂનાગઢ - અમરેલી - ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાને સ્પર્શતો લોકપ્રશ્ન હલ : કાલથી (૧) વેરાવળ - અમરેલી (ર) અમરેલી - વેરાવળ (૩) અમરેલી - જૂનાગઢ (૪) ાજૂનાગઢ - અમરેલી મીટરગેજ ટ્રેનોનો શુભારંભ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૬ : વિસાવદરને જોડતી તમામ મીટરગેજ ટ્રેનો કાલથી ચાલુ રહ્યાનાં શુભ સમાચાર મળી રહ્યા છે.જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાને સ્પર્શતો લોકપ્રશ્ન આખરે હલ થયો છે અનેપ્રચંડ લોકલાગણીનો વિજય થયો છે ત્યારે સાર્વત્રિક હર્ષોલ્લાસ પ્રવર્તે છે.

કાલે તા.૧૭ શુક્રવારથી કુલ-૮ પૈકી બાકી રહેલી ચારેય ટ્રેનો ચાલું થઇ રહી છે.વિસાવદર રેલ્વે સ્ટેશન અધિક્ષકશ્રીનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે પણ અનુમોદન આપ્યુ હતુ.

જાણવા મળતી વિગતો અનુસાર કાલથી (૧) વેરાવળ-અમરેલી ટ્રેન નં.૫૨૯૩૩ (૦૯૫૦૫), (૨) અમરેલી-વેરાવળ ટ્રેન નં.૫૨૯૩૦ (૦૯૫૦૮), (૩) અમરેલી-જૂનાગઢ ટ્રેન નં.૫૨૯૫૫ (૦૯૫૩૯), (૪) જૂનાગઢ-અમરેલી ટ્રેન નં.૫૨૯૫૬ (૦૯૫૪૦) મીટરગેજ ટ્રેનો ચાલું થઇ જશે.આ ટ્રેનોનુ વચ્ચે આવતા દરેક સ્ટેશનો પર સ્વાગતની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

કોરોનાકાળથી બંધ કરાયેલી ટ્રેનો પુનઃ શરૂ થઇ રહી છે જેને વિસાવદર ખાતેના રેલ આંદોલનની પ્રચંડ જનસમર્થનની ફલશ્રુતિ માનવામાં આવી રહ્યું છે.

વિસાવદર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબારે આ જનતા જનાર્દનની જીત ગણાવી છે.વિસાવદર-ભેસાણ વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા કે,જેની પણ આ આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા રહી હતી તેમણે પણ આ લોકપ્રશ્નનો હલ પ્રચંડ લોકલાગણીનાં વિજય સ્વરૂપે સરખાવ્યો છે.

વિસાવદરને જોડતી એકીસાથે ચાર મીટરગેજ ટ્રેનો કાલથી જ શરૂ થઇ રહી છે જે વિસાવદર ખાતેનુ રેલ આંદોલન પ્રચંડ જનસમર્થનની ફલશ્રુતિ સ્વરૂપ સાબિત થયું છે.જેથી ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે જનતા જનાર્દનનો આભાર વ્યકત કર્યો છે.દરમિયાન આંદોલનનાં સુખાંતમાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાની પણ નિર્ણાયક ભૂમિકા રહી જેને પણ સૌ બિરદાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદરમાં ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળે ચાલતા ઉપવાસ આંદોલનનો વિસાવદર-ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાની ઉપસ્થિતમાં રેલ્વે અધિકારીએ એક મહિનામાં વિસાવદરને જોડતી બધી જ મીટર ગેજ ટ્રેનો શરૂ કરી આપવાની લેખીત ખાત્રી આપતા ઉપવાસીઓએ ધારાસભ્ય શ્રી રિબડીયા તથા રેલ્વે અધિકારી શ્રી મકવાણાનાં હસ્તે પારણા કર્યા હતા જે માંગણી આખરે રેલ્વે તંત્રએ સ્વીકારી ટ્રેનો ચાલું કરવાનો નિર્ણય કરી પ્રજા સાથેની વિશ્વસનીયતા સાબિત કરી છે.

ધારાસભ્ય રિબડીયાની ઉપસ્થિતમાં ઉપવાસીઓને રેલ્વે અધિકારી (સીનીયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર,ભાવનગર પરા)એ ચેમ્બર્સ ઓફ કોમર્સનાં પ્રમુખ દિલીપભાઇ કાનાબારને સંબોધન કરી આપેલ પત્રમાં જણાવ્યું છે કે, 'મંડલ રેલ પ્રબંધકશ્રી તરફથી મળેલ સુચના અનુસાર આપની માંગણી મુજબની ટ્રેન આગામી એક મહિનામાં શરૂ કરવામાં આવશે.તા.૪-૧૨-૨૧થી જૂનાગઢ-દેલવાડા ટ્રેન શરૂ થશે.તેમજ ત્યારબાદ એક મહિનામાં બાકી રહેલી ટ્રેન શરૂ કરવામાં આવશે જેની આપશ્રીને લેખિત બાહેંધરી આપવામાં આવે છે.તો રેલ પ્રસાશનને સહકાર આપી આપનુ આંદોલન પૂર્ણ કરવા વિનંતી.' તેમ પત્રમાં લેખિત બાહેંધરી આપવામાં આવી હતી જે બાહેંધરી પ્રમાણે જ રેલ્વે સતાવાળાઓ ખરા ઉતર્યા છે.

અત્રે નોંધનિય છે કે,વિસાવદર ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર,શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ,પેસેન્જર એસોશીએશનનાં પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ,વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી,ભાજપ અગ્રણી હિંમતભાઇ દવે,જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય જીતુભાઇ રિબડીયા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો-કાર્યકરો વિસાવદર રેલ્વે સ્ટેશન સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા.દરમિયાન ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા ઉપવાસી છાવણીની મુલાકાતે આવેલા અને ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાના આ લોકપ્રશ્ને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કરી રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે લડાયક મુડમાં રજુઆત કરી હતી. જેથી રેલ્વે વિભાગ હરકતમાં આવ્યો હતો. અને વરિષ્ઠ રેલ્વે અધિકારીને રૂબરૂ લેખીત બાહેંધરીની સુચના આપતા આખરે ઉપવાસીઓ સાથેની વાટાઘાટોને સફળતા સાંપડી હતી અને આંદોલન સમેટાયુ હતુ.

ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે આ લોકઆંદોલનને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર તમામ સામાજિક-રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો-આગેવાનો-કાર્યકરો સૌનો આભાર વ્યકત કર્યો છે અને રેલ્વે સત્તાવાળાઓએ લોકલાગણી સમજી તેમનો પણ આભાર માન્યો છે.

અત્રે નોંધનિય છે કે,વિસાવદર તાલુકા પ્રત્યેનાં રેલ્વેનાં ઉપેક્ષાભર્યા વલણ સામે ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર વર્ષોથી સતત લડત ચલાવી રહ્યા છે.

એ પણ નોંધનીય છે કે, આ મીટરગેજ ટ્રેનો પ્રશ્ને ટીમ ગબ્બરના એડવોકેટ નયનભાઇ જોષીએ આરટીઆઇ કરેલી અને આંદોલનને પણ ટેકો જાહેર કર્યો હતો.

'જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ' ટ્રેન અગાઉ શરૂ થઇ ચૂકી છે.વિસાવદરને જોડતી કુલ-૮ પૈકી બાકી રહેલી ૪ ટ્રેનો પણ કાલથી શરૂ થઇ રહી છે ત્યારે લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.

(12:42 pm IST)