Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

આટકોટ પાસે ર કાર વચ્‍ચે ટક્કરઃ ૧૦ વર્ષની વિદ્યાર્થીનીનું મોતઃ ૯ ને ઇજા

જસદણના કાળાસર ગામના રામાણી પરિવારનાં સભ્‍યો યજ્ઞમાં જતા હતા ત્‍યારે અકસ્‍માત નડયો

આટકોટઃ પ્રથમ તસ્‍વીરમાં મૃતક વિદ્યાર્થીની, બીજી તસ્‍વીરમાં ઇજાગ્રસ્‍ત છાત્રા તથા ત્રીજી અને ચોથી તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત વાહનો નજરે પડે છે. (તસ્‍વીરઃ વિજય વસાણી-આટકોટ)  
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૮: જસદણનાં આટકોટ-ખારચીયા વચ્‍ચે આજે સવારે બે કાર વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં  ૯ વ્‍યકિતઓને ઇજા થઇ હતી. એક વિદ્યાર્થીનીનું મોત થયું છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે આટકોટ-ખારચીયા વચ્‍ચે એસન્‍ટ કાર નં. જી.જે.૦૧ એચ.એસ.પ૦૦પ અને મારૂતી વાન નં. જી.જે.૦૭ એ.જી.૮૯૬૭ વચ્‍ચે સવારે સાત  વાગ્‍યા આસપાસ સામ સામે ધડાકાભેર અકસ્‍માત સર્જાતા બંન્ને તરફનો ટ્રાફીક જામ થઇ ગયો હતો.
રસ્‍તે પસાર થતા લોકોએ  પોતાના વાહનો રોકી ઇજાગ્રસ્‍તોને બહાર કાઢયા હતા.
મારૂતી વાનમાં ખારચીયા અને આટકોટ વચ્‍ચે આવેલ સ્‍પીનીંગ મીલમાં રહેતી ગવરીસિંગ અજયસિંગ મુળ ઉતરપ્રદેશ (ઉ.વ.૧૦નું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. જયારે સોમીરાણા ભરતસિંગ ઉ.વ.૧પ  અને હેમાની ભરતસિંગ ઉ.વ.૧૦ (ભાઇ-બહેન) રે.મુળ ઉતરાખંડને ઇજા થઇ હતી. જયારે વાનના ડ્રાઇવરને બંને પગમાં ગંભીર ઇજા થઇ હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો છે.
આ ત્રણેય  બાળકો સવારે મીલથી વાનમાં જસદણની ખાનગી સ્‍કુલમાં અભ્‍યાસ અર્થે જતા હતા. જયારે બીજી કારમાં ભેંસાણ પાસે ચણાખા ગામે યજ્ઞમાં જતા જસદણના કાળાસર ગામના ચંદ્રીકાબેન વિનુભાઇ રામાણી ઉ.વ.૪૦, દયાબેન રાજેશભાઇ રામાણી ઉ.વ.૩૪, શિલ્‍પાબેન ભોળાભાઇ રામાણી ઉ.વ.૪૦, ભોળાભાઇ રણછોડભાઇ રામાણી ઉ.વ.૪ર, રવિ ભુપતભાઇ રામાણી ઉ.વ.૨૫ અને યુગ ભોળાભાઇ રામાણી ઉ.વ.૮ને ઇજા થતા જસદણ ખસેડવામાં આવ્‍યા હતા.
આ અકસ્‍માતની જાણ થતા જસદણ ૧૦૮ના પાઇલોટ દેવાયતભઇ રાઠોડ અને ઇએમટી રાહુલ કુબાવત તેમજ સાણથલી ૧૦૮ના પાઇલોટ પુનીત વ્‍યાસ અને ઇ.એમ.ટી. સુલય રાઠોડ અકસ્‍માત સ્‍થળે દોડી જઇ બધાને જસદણ ખસેડયા હતા.
આટકોટ  પોલીસને પણ અકસ્‍માતની જાણ થતા તેઓ પણ ઘટના સ્‍થળે દોડી ગયા હતા.
આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસનાં એ.એસ.આઇ.આર.જી. મેટાળીયા ચલાવી રહયા છે.

 

(11:36 am IST)