Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ભાવનગર જિલ્લાના ખેડૂતોએ નુકશાન વળતર માટે અરજી કરી

હવે સરકાર જ અમારો એકમાત્ર સહારો છે : જિલ્લામાં અતિવૃષ્ટિ જેવા માહોલ વચ્ચે ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાના કારણે અનેક ખેડૂતોને નુકશાન

ભાવનગર, તા.૨૬ : ભાવનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો અને ત્યાર બાદ માવઠું થતા ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.

ચોમાસા દરમ્યાન જિલ્લાના અનેક તાલુકાઓમાં ૧૦૦ ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ મહુવા તાલુકામાં ૧૩૦ ટકા, ગારિયાધાર તાલુકામાં ૧૩૦ ટકા, ઘોઘા તાલુકામાં પણ ૧૨૪ ટકા તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં ૧૦૦ ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં સરેરાશ ૧૦૬ ટકા વરસાદ નોંધાયો હતો, જેમાં અતિવૃષ્ટિ જેવા માહોલ વચ્ચે ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાના કારણે જિલ્લાના અનેક ખેડૂતોને વ્યાપક નુકશાન થયું હતું, જે અંતર્ગત સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ૬ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી અરજી કરવા માટે અપાયેલા સમય દરમ્યાન અત્યાર સુધીમાં ૧ લાખ ૫૯ હજાર ૩૫૩ ખેડૂતો દ્વારા નુકશાન વળતર માટે ઓનલાઈન અરજી કરવામાં આવી છે.

અતિભારે વરસાદના કારણે મહુવા, ગારિયાધાર, જેસર અને ઘોઘા સહિત તમામ તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર થઈ ગયેલા પાકમાં વ્યાપક અસર થઈ હતી. ખેડુતોના ખેતરોમાં ઉભેલા તૈયાર પાકનું ધોવાણ થઈ ગયું હતું. ત્યારે ખેડૂતોને નુકશાન સહાય આપવાની માંગને લઈને સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે રાહત પેકેજ અંતર્ગત અરજીઓ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર નુકશાન સહાયની રકમ ઝડપથી ચૂકવી આપે તો એ રકમ ખેડૂતો અન્ય પાક માટે ઉપયોગમાં લેવાય શકે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.

સરકાર દ્વારા રાહત પકેજ-૨ જાહેર કરવામાં આવતા ભાવનગર તાલુકાના ૧૦,૧૭૨, ભાવનગર સિટીના ૮૫૬, ગારિયાધાર તાલુકાના ૧૬,૩૫૮, ઘોઘા તાલુકાના ૮,૮૧૭, જેસર તાલુકાના ૯,૪૯૮, મહુવા તાલુકાના ૨૮,૭૫૫, પાલીતાણા તાલુકાના ૧૫,૪૯૬, શિહોર તાલુકાના ૧૭,૩૪૬, તળાજા તાલુકાના ૨૫,૯૨૬, ઉમરાળા તાલુકાના ૧૨,૩૯૧ અને વલભીપુર તાલુકાના ૧૩,૭૩૮ ખેડૂતો દ્વારા નુકશાન સહાય અંગે અરજી કરવામાં આવી છે. આમ કુલ મળી ૧,૫૯,૩૫૩ અરજી થઈ છે.  જિલ્લામાં પાક નુકશાન વળતર સહાય અંગે ૬ થી ૨૪ ડિસેમ્બર સુધી ખેડૂતો પાસે થી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેની મુદ્દત પૂર્ણ થતાં આવેલી તમામ અરજીઓના નિકાલ માટે વેરીફીકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ત્યાર બાદ સહાયની રકમ ચૂકવવા માટે તંત્ર દ્વારા હાલ કવાયત હાથ ધરવામાં આવી છે.

(7:18 pm IST)