Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૪મી જન્મજયંતિ : કીટ વિતરણનો પ્રારંભ

જરૂરીયાતમંદ પરિવારોને રૂ. ૨૫૦૦ની કિંમતની ૪૦ કિલો વસ્તુઓ અર્પણ કરાશે : ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક અભિયાન

રાજકોટ તા. ૨૮ : મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી (૨૮ ઓગસ્ટ ૨૦૨૦) નિમિત્તે આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ – વિકલાંગને એક કીટમાં રૂ. ૨૫૦૦ની ઉત્તમ ગુણવત્તાની ૪૦ કીલો જેટલી સામગ્રી : ઘઉ, ચોખા, તુવેરની દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું-મરચું-હળદર-ધાણાજીરૂ, સાબુ, વોશિંગ પાવડર, બટેટા વગેરે આપવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન આ સામગ્રી વેળાસર કામ લાગે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેઘાણીના પિતા સ્વ. નાનકભાઈ મેઘાણીની છઠી પુણ્યતિથિ નિમિત્તે ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે આ સેવાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. વાલ્મીકિ સમાજમાંથી આવતા કોરોના-વોરીયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોના પરિવારને સહુપ્રથમ આ કીટ આપવામાં આવી હતી. આ અવસરે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી સાથે શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર),  કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિતિ રહ્યા હતા. ચોટીલા, બોટાદ, રાણપુર, ધંધુકા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ જેવાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોએ કીટ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને કિરીટસિંહ રહેવર-મામા (મો. ૯૯૭૮૧૭૦૯૩૪)નો સંપર્ક કરી શકાશે.    

ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે પણ બોટાદ જિલ્લાના સેવાભાવી અને સાહિત્ય-સંસ્કૃતિ-શિક્ષણ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના વરદ્-હસ્તે કીટ વિતરણ સેવાયજ્ઞનો આરંભ કરાયો હતો. કર્મભૂમિ રાણપુર સ્થિત તે વખતના ઐતિહાસિક 'સૌરાષ્ટ્ર'- 'ફૂલછાબ'પ્રેસ અને હાલની એ. ડી. શેઠ હોસ્પીટલ ખાતે કીટનું વિતરણ કરાયું હતું. અહિ જતનપૂર્વક જળવાયેલા લીંબડાની નીચે બેસીને ઝવેરચંદ મેઘાણી લેખન કાર્ય કરતા. વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાની શૌર્યભૂમિ સુદામડા (તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) ખાતે વંશજ ચકાભાઈ, મરઘાબેન, દિપકભાઈ, રવિભાઈને કીટ ભેટ અપાઈ હતી. ઝવેરચંદ મેઘાણી કૃત 'સૌરાષ્ટ્રની રસધાર'ના ત્રીજા ભાગમાં 'કાનિયો ઝાંપડો'કથામાં પોતાના ગામ સુદામડાને બચાવવા જતા, પ્રાણની આહૂતિ આપનાર, વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાના શૌર્ય અને સ્વાર્પણની ગૌરવગાથા આલેખાયેલી છે જે ખાસ ઉલ્લેખનીય છે. બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ – સદર સ્થિત તે સમયની ઐતિહાસિક તાલુકા શાળા અને હાલની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જયાંથી ૧૯૦૧માં ઝવેરચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો, ખાતે પણ કીટનું વિતરણ કરાયું હતું.

પિનાકી મેઘાણી, કિરીટસિંહ રહેવર (મામા), ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા (રાજકોટ), ખેડૂત આગેવાનો અનિરૂધ્ધસિંહ ચાવડા (સુંદરીયાણા) - રમેશભાઈ બદ્રેશીયા (મોટી વાવડી), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) ઉપસ્થિતિ રહ્યા હતા.        પિયૂષભાઈ દેસાઈ – ચંદ્રિકાબેન – કેયુર (સ્વ. જયંતીલાલ વલ્લભદાસ દેસાઈ - સ્વ. જયોતિબેન, સ્વ. ધીરજલાલ પ્રભુદાસ શાહ - સ્વ. વીણાકુંવરબેન), જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર) - કિરીટસિંહ રહેવર (મામા) - મહિપતસિંહ વાઘેલા - ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડો. અક્ષયભાઈ શાહ – અનારબેન – આકાશ – ડો. અનિકેત (લોકસેવિકા, પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહ, સ્વ. સરલાબેન મોદી – સ્વ. રમેશચંદ્ર મોદી), જતીનભાઈ મનુભાઈ શેઠ ('સૌરાષ્ટ્રના સિહ'સ્વ. અમૃતલાલ શેઠ), લોકગાયક અભેસિંહ રાઠોડ, ડો. અમિતાબેન – ડો. દિનેશભાઈ અવસ્થી, રૂપાબેન – ભરતભાઈ મહેતા - ડો. મિતાલી  (સ્વાતંત્ર્ય-સેનાની સ્વ. રજનીકાંત ગોસલીયા, સ્વ. લીનાબેન, સ્વ. રાજદેવ, સ્વ. લિપ્તીબેન), શૈલેષભાઈ શાહ – આશિતાબેન – કલન, જતીનભાઈ બાબુભાઈ ઘીયા (સ્વ. જયાબેન - સ્વ. બાબુભાઈ રતનલાલ ઘીયા, સ્વ. બેલાબેન જતીનભાઈ ઘીયા), કે. કે. ચાવડા - ઉમંગભાઈ - તૃપ્તિબેન – ઊર્જા (સ્વ. રમાબેન કે. ચાવડા), ડો. કનુભાઈ બોરીચા – અસ્મિતાબેન - તૃપ્તિબેન – તેજલબેન – રૂપલબેન, ગિરીશકુમાર વાજા – જયશ્રીબેન બોરીચા વાજા - કિંજલ – સંસ્કૃતિ (સ્વ. જે. કે. બોરીચા – સ્વ. મણિબેન બોરીચા, સ્વ. ગનુભાઈ વાજા), અજિતભાઈ નંદાણી - ભાવનાબેન – કરણ –પ્રાચી – કિઆરા (સ્વ. કાંતાબેન – કાંતિલાલ મણિલાલ નંદાણી), જગજીવનભાઈ પ્રભુદાસ ગોહિલ (સુદામડાવાળા) - ઘનશ્યામ – ડો. હીના – રેણુકા – સોનલ (સ્વ. કલાવતીબેન જગજીવનભાઈ ગોહિલ), રોનકભાઈ દિલીપભાઈ મહેતા (સ્વ. ઈન્દુબેન દિલીપભાઈ મહેતા), અનિરુધ્ધસિંહ અમરસંગભાઈ ચાવડા, રમેશભાઈ વાલજીભાઈ બદ્રેશીયા, સ્વ. વજેસિંહ  હેમંતસિંહ ચૌહાણ, સ્વ. દક્ષાબા પરબતસિંહ ચૌહાણ, અમૃતલાલ રાજાણી, મુગટલાલ ભનુભાઈ શાહ, ચિરાગભાઈ શાહ - નીનાબેન -  મનન, આર. એચ. કોઠારી, સંજયભાઈ ખત્રી, સુનિલભાઈ સૈયા, શૈલેષભાઈ મણિયાર, મયંકભાઈ એન. કાપડીયા, સુકેતુભાઈ શાહ, રૂપિનભાઈ – શ્વેતાબેન શાહ, કિશોરભાઈ જે. મહેતા, દર્શનભાઈ એન. પટેલ, દિપકભાઈ સંપટ, પરાગભાઈ શાહ, જીનેશભાઈ બી. શાહ, મિહીરભાઈ સાંદેસરીયા, વાલજીભાઈ પિત્રોડા, ગફૂલભાઈ દેસાઈ (વિસત ટ્યૂબવેલ કંપની) - બળદેવભાઈ રાયકા (ગુજરાત રાયકા કલબ) - રાજુભાઈ દેસાઈ તેમજ નિરમા લિ., અદાણી મસાલાનો આ સેવાયજ્ઞમાં લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે.

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી  

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(2:59 pm IST)