Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પરાક્રમી સપૂતોની કથાઓનું વાંચન - ગાયન અને રસપાન થતું રહેવું જોઇએ : ભૂપેન્દ્રભાઇ પટેલ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજીત શૌર્ય કથામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ : શનિવારે શરૂ થયેલ કથામાં દરરોજ મોટી સંખ્યામાં ઉમટી પડતા લોકો : પટેલ સમાજના યુવકે ૫૧ હજારનું યોગદાન આપીને સામાજિક સમરસતાનું ઉદાહરણ પુરૃં પાડયું

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શનિવારથી ધ્રોલ તાલુકાના ભૂચર મોરી શહિદ સ્મારક ખાતે શૌર્ય કથાનું આયોજન કરાયું છે. જેમાં આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંજય ડાંગર, ધ્રોલ)

ધ્રોલ તા. ૨૭ : શનિવારથી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભુચર મોરી ખાતે રાજપૂત યુવા સંઘ દ્વારા શૌર્ય કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કથાના આજે ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભુચર મોરી શહિદ સ્મારક ખાતે શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથામાં સહભાગી થઈ શહીદોને વિરાંજલી આપતાં જણાવ્યું હતું કે મહાન વીરો - યૌદ્ઘાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે.

દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર બલિદાનો આપનારા ગુજરાતના વીર સપૂતોની યશગાથા ગાવાની આ ધન્ય ઘડી છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્ર ધર્મ છે. ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો ઇતિહાસ આવા અનેક પ્રસંગોની સાક્ષી પુરે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અપ્રતિમ શૌર્ય, બલિદાન, સાહસ અને પરાક્રમની ઘટના એટલે જામ સતાજીની આગેવાનીમાં લડાયેલું ભુચરમોરીનું યુદ્ઘ.કાઠીયાવાડના કુરુક્ષેત્ર સમાન ભૂચરમોરીના યુદ્ઘમાં આશરા ધર્મ નિભાવવાને કાજે અનેક ક્ષત્રીયો અહીં શહીદ થયા હતા.

સત્ય, ન્યાય અને ધર્મ માટે લડવાની આપણી ઉજળી પરંપરા રહી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જામ રાવલ, જામ સત્તાજી,જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા અળભંગ, જામ ઉન્નડ વગેરે શુરાવીરોને યાદ કરી તેમની શૌર્યતાને બિરદાવી આદરાંજલી અર્પણ કરી હતી.

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયજીની સ્મૃતિમાં તા.૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહ ઉજવાઇ રહ્યુ છે ત્યારે ભારત માં ના સપૂત એવા વાજપેયીજીના શૌર્યને પણ મુખ્યમંત્રીશ્રીએ યાદ કર્યું હતું.વીર યોદ્ઘાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે. ભારતમાતાના આવા વીર, સાહસી અને પરાક્રમી સપૂતોની કથાઓનું વાંચન, ગાયન અને રસપાન થતું જ રહેવું જોઇએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ડો.જયેન્દ્રસિંહ જાડેજા, વગેરેએ પ્રાસંગિક ઉદ્ઘબોધન કર્યું હતું તેમજ મુખ્યમંત્રીશ્રીને આવકારી શૌર્યકથા સપ્તાહની રૂપ રેખા રજૂ કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ડો.જયેંદ્રસિંહ જાડેજા લિખિત 'આશરા ધર્મનો અજોડ ઇતિહાસ' પુસ્તકનું વિમોચન કર્યું હતું.તેમજ તેમના આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

કાર્યક્રમના પ્રારંભે ક્ષત્રિય સમાજની દિકરીઓએ ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારી ભારતીય નારીઓની વીરતાની જાંખી કરાવતો તલવાર રાસ રજૂ કર્યો હતો.

આ પ્રસંગે રાજયમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, શ્રી પી.ટી.જાડેજા, જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલ કગથરા, શ્રી રમેશભાઈ મુંગરા, શ્રીમતી જયશ્રીબહેન પરમાર, શ્રી રાજભા જાડેજા, દીપકસિંહ ઝાલા, પથુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.

(2:56 pm IST)