Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સૌરવ ગંગુલની બનશે બાયોપીક : લવ ફિલ્મ્સ કરશે નિર્માણ

ગાંગુલીએ તેની બાયોપિકની જાહેરાત કરી અને કહ્યું કે, તેની સ્ટોરી ટૂંક સમયમાં મોટા પડદા પર જીવંત કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાના ચાહકો સાથે મોટા સારા સમાચાર શેર કર્યા છે. ગાંગુલીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ચાહકોને પોતાની બાયોપિક અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, લવ ફિલ્મ્સ તેની બાયોપિકનું નિર્માણ કરી રહી છે.

ગાંગુલીએ અગાઉ પણ એક ઇન્ટરવ્યુમાં પોતાની બાયોપિકની પુષ્ટિ કરી હતી. પરંતુ આ વખતે તેણે આ સમાચાર પર સંપૂર્ણ મહોર મારી દીધી છે. તેમણે તેની બાયોપિકની જાહેરાત કરી અને કહ્યું કે, તેની સ્ટોરી ટૂંક સમયમાં મોટા પડદા પર જીવંત કરવામાં આવશે.

   બાયોપિકની રિલીઝ ડેટ હજુ સામે નથી આવી. આ ફિલ્મનું નિર્માણ લવ ફિલ્મ્સ કરશે અને તેનું દિગ્દર્શન લવ રંજન (Luv Ranjan) કરી શકે છે. ગાંગુલી પહેલા મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, બબીતા ફોગાટ, મિલ્ખા સિંહ અને સાયના નેહવાલ જેવા અનેક એથ્લીટ્સ અને ખેલાડીઓ પર બાયોપિક બની ચૂકી છે. આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીની ભૂમિકા કોણ ભજવશે? તે વાત હજુ જાહેર થઈ નથી. પરંતુ ગાંગુલીએ ઇન્ટરવ્યુમાં પોતાનું પાત્ર ભજવવા માટે રણબીર કપૂરને હોટ ચોઈસ ગણાવી હતી

સૌરવ ગાંગુલીએ ટ્વિટ કર્યું હતું કે, ક્રિકેટ મારું જીવન રહ્યું છે. તેણે મને મારું માથું ઊંચું કરીને આગળ વધવા આત્મવિશ્વાસ અને ક્ષમતા આપી છે. લવ ફિલ્મ્સ બાયોપિકનું નિર્માણ કરશે અને મોટા પડદા પર તેને જીવંત બનાવશે તેનાથી રોમાંચિત છું.

જ્યારે લવ રંજને કહ્યું હતું કે, લવ ફિલ્મ્સ પરિવારમાં દાદાનું હોવું એ સન્માનની વાત છે! અમને તમારા જીવનનો ભાગ બનાવવા અને તેને વિશ્વ સાથે શેર કરવા બદલ આભાર.

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ક્રિકેટનો કેટલો ભાગ હશે અને તેના અંગત જીવનના સંઘર્ષનો કેટલો ભાગ હશે તે અંગે ફિલ્મ સ્ટુડિયોએ હજુ સુધી કશું સ્પષ્ટ કહ્યું નથી. પરંતુ સૌરવ ગાંગુલીની બાયોપિકની જાહેરાત થતાં જ મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં ભારે ચર્ચા થઈ રહી છે. પોતાના નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે, દાદા સૌરવ ગાંગુલીની બાયોપિક લવ ફિલ્મ્સ બનાવશે તેવી જાહેરાત કરવામાં અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ. અમે આ જવાબદારી લેતા ગર્વ અનુભવીએ છીએ અને ગ્રેટ ઇનિંગની અપેક્ષા રાખીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, લવ રંજને અગાઉ દે દે પ્યાર દે, છલાંગ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમણે પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી સફળ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. રંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

(7:21 pm IST)