Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમદાવાદમાં વ્‍યાજખોરોના ત્રાસથી મહિલાએ ફીનાઇડ પીધુઃ સરદારનગર પોલીસ સામે સહકાર નહીં આપવાનો અને રૂપિયાનો વહિવટ થઇ ગયાનો પીડિત પરિવારનો આક્ષેપ

અમદાવાદ: પોલીસ ભલે વ્યાજખોરના આતંકને ડામવા માટેની મસમોટી વાતો કરતી હોય પરંતુ હજુ પણ વ્યાજના વિષચક્રમાં લોકો ફસાતા રહે છે. નરોડાનો આવો જ એક પીડિત પરિવાર ન્યાયની અપીલ સાથે સામે આવ્યો છે. એટલું જ નહીં સરદારનગર પોલીસ સામે સહકાર નહિ આપવાનો અને આ મામલામાં રૂપિયાનો વહીવટ થઈ ગયાનો પીડિત પરિવારએ આક્ષેપ કર્યો છે.

નરોડા ગામ વિસ્તારમાં રહેતા આ છે ધીરેનભાઈ સોની ઉર્ફે વિશાલ પટેલ. જેઓ એક વર્ષ પહેલાં સરદારનગર વિસ્તારમાં ભાડે રહેતા હતા. ગત મેં મહિનામાં ભાણીનો  પ્રસંગ હોઈ પોતાના જ મકાન માલિક સુનિતાબેન જગદીશભાઈ બજરંગે પાસે 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે માટે 30 હજાર રૂપિયા પહેલાથી કાપી લઈ 1 લાખ 70 હજાર આપ્યા હતા. 105 દિવસ સુધી રોજ 2 હજાર રૂપિયા ભરવાની ચોપડી ચાલુ કરી હતી. જોકે 35 દિવસ સુધી રૂપિયા ભર્યા. પછી રૂપિયા ભરી નહિ શકતા સુનિતાબેન તેમના પત્ની લાજવંતી બેનને ધમકાવતા હતા. અને તેમની સાથે ખરાબ વર્તન કરતા 5 ઓક્ટોબર ના રોજ લાજવંતીબેને ફીનાઇલ પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ સિવિલ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લાજવંતી બેન ઘરે પરત ફર્યા હતા.

જોકે લાજવંતીબેને જણાવ્યું કે, હોસ્પિટલમાં આવીને પણ સુનિતાબેનના પતિ જગદીશભાઈએ પોલીસ ફરિયાદ નહિ કરવા ધમકી આપી હતી. વાતમાં સરદારનગર પોલીસ તપાસ કરતી નહિ હોવાનો અને પોલીસે આ કેસમાં પૈસા ખાધા હોવાનો આક્ષેપ પીડિત પરિવાર કરી રહ્યો છે. તો બીજી તરફ જી ડિવિઝનના ACP A M દેસાઈ એ જણાવ્યું કે આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનો રાગ આલાપી રહ્યા છે.

(4:49 pm IST)