Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ચાર મહિનાથી ટલ્લે ચડેલી NEETની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

પરીક્ષામાં અંદાજે 80 ટકા જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી ; સપ્ટેમ્બરના અંતમાં પરિણામ જાહેર થવાની શક્યતા

અમદાવાદ: કોરોનાના કારણે છેલ્લાં ચાર મહિનાથી ઠેબે ચડેલી NEETની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મેનેજમેન્ટે હાશકારો અનુભવ્યો હતો. મેડિકલમાં પ્રવેશ માટે આજે લેવાયેલી NEETની પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે મધ્યમ રહી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓને પરીક્ષા સરળ જયારે કેટલાક વિદ્યાર્થીઓ માટે ફીઝીક્સના પ્રશ્નો અઘરા રહ્યા હતા. સૌથી મહત્વની વાત એ હતી કે કેન્દ્ર અને રાજય સરકારે રાખેલી તકેદારીના કારણે અને વાલીઓની સાવચેતીના કારણે કોઇપણ જગ્યાએ કોઇ મુશ્કેલી ઉભી થઇ નહોતી. આ પરીક્ષાનું પરિણામ કયારે જાહેર થશે તે અંગે NTA દ્વારા કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પરિણામ જાહેર થાય તેવી શકયતાં છે.

ધો.12 પછી મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા NEET લેવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે અગાઉ મે માસમાં લેવાનારી NEET સ્થગિત કરીને જુલાઇમાં લેવાનું નક્કી કરાયુ હતુ. પરંતુ પરિસ્થિતિ યોગ્ય ન લાગતાં છેવટે 13 સપ્ટેમ્બરના રોજ લેવાની જાહેરાત કરાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે 16 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ગુજરાતમાં પણ અંદાજે 80 હજારથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

પરીક્ષાના કો-ઓર્ડીનેશનની જવાબદારી સંભાળતાં અધિકારીઓના કહેવા પ્રમાણે આજની પરીક્ષામાં અંદાજે 80 ટકા જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. સવારે 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને માસ્ક અને પેન પણ સેન્ટર પર જ આપવામાં આવતી હતી. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓની જગ્યા પર જ બે કલાક પહેલા બેસાડી દેવામાં આવ્યા હતા. મહત્વની વાત એ હતી કે સવાર 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યુ હોવાથી બપોરે 2 વાગ્યા સુધી આવનારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સેનિટાઇઝ કરવાથી લઇને તમામ સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હતા.

આજની પરીક્ષા આપનારા વિદ્યાર્થિઓના મતે પ્રશ્નપત્ર એકંદરે સરળ અને સારુ રહ્યુ હતુ. ફીઝીક્સના પ્રશ્નો કેટલાક વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. પરંતુ વાંચવા માટે સમય વધારે મળ્યો હોવાથી કોઇ મુશ્કેલી થઇ નહોતી. આ વખતે પ્રશ્નપત્ર પણ બેલેન્સ જળવાઇ રહે તે પ્રમાણે કાઢ‌વામાં આવ્યુ હોવાથી એકંદરે રાહત થઇ હતી.

(11:40 pm IST)