Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

આત્‍મનિર્ભર બનવા દેશભરમાં અમદાવાદનું દંપતિ મોટુ ઉદાહરણરૂપઃ પતિએ લોકડાઉનમાં નોકરી ગુમાવતા દિવ્‍યાંગ દંપતિએ ફરસાણનો વ્‍યવસાય શરૂ કર્યો

અમદાવાદ: લોકડાઉનમાં અનેક લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. લાખો લોકો બેરોજગાર બની ચૂક્યા છે. કોવિડ-19 ફેલાવાથી રોકવા માટે ભારત સરકારે માર્ચ મહિનાથી લોકડાઉન લગાવી દીધું છે. લોકોની રોજગાર છીનવાઈ ગઈ છે. લોકો પોતાના શહેરમાં પરત ફરવા મજબૂર બન્યા છે. આવામાં અનેક લોકો નવા કામની શોધ કરી રહ્યાં છે. કેટલાય લોકો એવા છે જેઓ નવી નોકરી શોધવા કરતા આત્મનિર્ભર બનવા પર ભાર આપી રહ્યાં છે. આવામા દેશભરમાં અમદાવાદનુ એક કપલ મોટું ઉદાહરણ બન્યુ છે. લોકડાઉનમાં બેરોજગાર બનેલ પ્રજ્ઞાચક્ષુ કપલે ફરસાણનો વ્યવસાય શરૂ કર્યો છે. કોઈના પાસેથી રૂપિયા લઈને સ્વમાન ગુમાવવા કરતા આ કપલને આત્મનિર્ભર બનવુ વધુ યોગ્ય લાગ્યું.

અમદાવાદમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ અશ્વિન ઠક્કર અમદાવાદની એક હોટલમાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતા હતા. પરંતુ લોકડાઉનમાં હોટલનો વેપાર ઠપ્પ થતાં તેઓને નોકરી ગુમાવવી પડી હતી. લોકડાઉનમાં બીજી નોકરી શોધવી પણ મુશ્કેલ બની ગઈ હતી. આવામાં તેઓએ શરૂઆતમા કેરી વેચવાની શરૂઆત કરી હતી. કેરીની સીઝન પૂરી થતા તેના બાદ તેઓએ ફરસાણનો વ્યવસાય શરૂ કર્યો. ત્યારે કોઈના પર નિર્ભર રહેવાને બદલે તેઓએ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ તેઓને ફળ્યો હતો.

ફરસાણનો વેપાર કરીને પ્રજ્ઞાચક્ષુ અશ્વિન ઠક્કર આત્મનિર્ભર બન્યા છે. હવે આ કપલ ફરસણની હોમ ડિલિવરી પણ કરાવે છે. ઉનાળામાં આ કપલે સફળ રીતે 1200 કિલો કેસર કેરીનો વેપાર કર્યો હતો. અને હવે હાથથી બનાવેલા ફરસાણનો વેપાર કરી રહ્યાં છે. હવે અનલોકમાં હોટલો ખૂલી જતા નોકરી ચાલુ થયા બાદ પણ ફરસાણનો વેપાર સાઈડમાં ચાલુ રાખવાનો પ્રજ્ઞાચક્ષુ દંપતિએ નિર્ણય લીધો છે.

આ વિશે અશ્વિનભાઈ કહે છે કે, મેં આ પહેલા ક્યારેય બિઝનેસ કર્યો ન હતો. તેથી મને લાગતું ન હતું કે મારો બિઝનેસ આટલા દિવસ ચાલશે. મેં કેરીના વેપારથી શરૂઆત કરી અને હવે હું ગુજરાતી નાસ્તા વેચી રહ્યો છું. નેત્રહીન હોવાને કારણે મારા માટે ફરસાણની ડિલીવરી કરવી, સામાન લાવવું મુશ્કેલ હતુ. પણ, દૃઢ ઈચ્છાશક્તિને કારણે મને બિઝનેસમાં સફળતા મળતી ગઈ. મારી પત્ની ગીતા પણ મને સપોર્ટ કરે છે. અમે દશેરા અને દિવાળી પર મીઠાઈનો સ્ટોલ કરવાનો વિચારી રહ્યો છું. 

હવે  ઠક્કર દંપતી ઘરે જ ફરસાણ બનાવીને તેને વેચે છે. આ રૂપિયાથી તેમનું ઘર ચાલે છે. ઠક્કર દંપતની જેમ અનેક લોકો આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(4:37 pm IST)