Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરતમાં 24 દિવસ ઓક્સિજન પર રહીને સિક્યુરીટી ગાર્ડે કોરોના સામે જંગ જીત્યો

પોઝિટિવ' રહી કોરોનાને 'નેગેટિવ' કરી શકાય: પતિ-પત્ની બંન્નેને કોવિડ વોર્ડમાં દાખલ

સુરત : સુરતના 60 વર્ષીય કૌશલ સિંહે કોરોનાને માત આપી છે. કૌશલ સિંહે 28 દિવસની સારવારમાં 24 દિવસ ઓક્સિજન પર રહીને કોરોના સામે જંગ જીત્યા છે  કૌશલ સિંહ પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેમને કોરોના સંક્રમિત થતા એમનું ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયું હતું. જેથી ૨૮ દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ મોતને માત આપી જિંદગીને ગળે લગાડી છે.

   વર્ષોથી પાંડેસરાના ગણેશનગરમાં રહેતા કૌશલ સિંહને છાતીમાં દુ:ખાવો, ખાંસી, તાવ જણાતા પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લીધી હતી, પરંતુ શ્વાસ લેવામાં તફલીફ વધતાં તબીબની સલાહથી સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો સાથે તેમના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી પતિ-પત્ની બંન્નેને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

  કૌશલ સિંહ 28 દિવસ કોરોના સામે હોસ્પિટલમાં સંઘર્ષમય લડત બાદ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. તેમણે જણાવ્યું કે, કોરોનાથી ડર્યા વગર સારવાર લેવી જોઇએ. માનસિક રીતે 'પોઝિટિવ' રહી કોરોનાને 'નેગેટિવ' કરી શકાય છે. કોરોના અમારૂ પતિ-પત્નીનું ઓક્સિજન લેવલ ઓછું થઇ જવા છતાં બિલકુલ ગભરાયો નહિ, અને કોરોનાને માત આપી છે.

 28 દિવસની સારવારમાં 24 દિવસ ઓક્સિજન રાખી મારી તબીયતમાં સુધારો જાણતા 4 દિવસ રૂમ એર પર રાખી કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા મને રજા આપવામાં આવી છે. સિવિલના સ્ટાફનો આભારી છું. જેમણે મને નિસ્વાર્થ પ્રેમભાવ સાથે સારવાર કરી કોરોનામુક્ત કર્યો છે.'

(9:11 am IST)