Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કેશુભાઇ માત્ર ૧૭ વર્ષની ઉંમરે આર.એસ.એસ.માં જોડાયા હતા

વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજયમંત્રી મંડળની બેઠકમાં શ્રધ્ધાંજલી આપતો શોકપ્રસ્તાવ રજુ : ખેડૂતો અને ગામડાઓના વિકાસ સાથે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ સાકાર કરી હતીઃ ભૂકંપ સમયે ખુબ જ પ્રશંસનીય કામગીરી રહી હતીઃ તેઓની રાજકીય કારકીર્દી સમગ્ર રાજય માટે ગૌરવ સમાન હતી

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને રાજય મંત્રીમંડળના મંત્રીઓની મળેલી કેબિનેટ બેઠકમાં રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઇ પટેલના અવસાન અંગે ઊંડા ખેદ અને દુઃખની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

રાજય મંત્રીમંડળે પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ પટેલને ભાવસભર શ્રદ્ઘાંજલી આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો. રાજય મંત્રીમંડળે પસાર કરેલ શોક પ્રસ્તાવ અક્ષરશઃ આ મુજબ છે.

 ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજયના અગ્રણી રાજનેતા શ્રી કેશુભાઈ પટેલનું સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ૯૨ વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનની મંત્રીમંડળે ઊંડા ખેદ સાથે નોંધ લીધી છે.

શ્રી કેશુભાઈ પટેલનો જન્મ ૨૪મી જુલાઈ, ૧૯૨૮ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે થયો હતો. તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંદ્યમાં જોડાયા હતાં.

તેઓએ ભારતીય જનસંદ્યથી રાજનીતિની શરૂઆત કરી હતી. ૧૯૭૭માં પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી રાજયના કૃષિમંત્રી તરીકે તેમજ સને ૧૯૯૦માં નર્મદા, જળસંપત્ત્િ।, વાહન વ્યવહાર અને બંદરો વિભાગના મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.

ઈ.સ. ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ હોનારતમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. શ્રી કેશુભાઈ પટેલ ૧૯૭૮ થી ૧૯૯૫ સુધી કાલાવાડ, ગોંડલ અને વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ હતાં.

૧૯૮૦માં શ્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય રહ્યા હતા. ૧૯૯૫માં પ્રથમવાર તેઓના નેતૃત્વમાં રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને તેઓએ રાજયના ૧૦માં મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૮માં કેશુભાઈ બીજીવાર રાજયના મુખ્યમંત્રી બન્યા હતાં.મુખ્યમંત્રી તરીકે રાજયના ખેડૂતો અને ગામડાઓના વિકાસ સાથે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમો કર્યા હતાં. વર્ષ ૨૦૦૧માં આવેલ ભૂકંપ સમયે તેઓ દ્વારા ગુજરાતને (ખાસ કચ્છ જિલ્લાને) બેઠું કરવા કરેલ કામગીરી ખૂબ જ પ્રસંશનીય રહી હતી. તેઓ વર્ષ ૨૦૦૨માં રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતાં. શ્રી કેશુભાઈ પટેલ હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું. તેઓની રાજકીય કારકીર્દિ સમગ્ર રાજય માટે ગર્વ સમાન હતી.  

 જેઓની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં ફેલાયેલી આ શૂન્યતાને પૂરવાનો કોઈ વિકલ્પ નથી તેવા સ્વ. શ્રી કેશુભાઈ પટેલના અવસાન અંગે રાજય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યકત કરે છે. મંત્રીમંડળ, આજ   બેઠકમાં સ્વ. શ્રી કેશુભાઈ પટેલના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થશ્રીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પે છે.દિવંગત સ્વ. કેશુભાઇ પટેલના આત્માની પરમશાંતિ માટેની પ્રભુ પ્રાર્થના સાથે મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળીને સ્વર્ગસ્થને ભાવાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ ના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરતા જણાવેલ કે સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇ ને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા  અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન  કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રીશ્રી એ સદગત કેશુભાઈના પ્રદાનની સરાહના કરતા જણાવ્યુ હતુ.મુખ્ય મંત્રીશ્રી એ કહ્યું કે કેશુભાઈ ના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

(11:28 am IST)