Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

લદાખ સરહદે સૈન્યની પીછેહઠ માટે ભારત-ચીન આખરે તૈયાર

લદાખ સરહદ પર તણાવ ઘટાડવાનો પ્રયાસ : ત્રણ તબક્કામાં પીછેહઠ કરવા પર સહમતી, બંને દેશના સૈન્ય એપ્રિલ-મેની જૂની સ્થિતિમાં પાછા ફરવા સહમત : બંને દેશો વચ્ચે તણાવ ટૂંકમાં ઘટી શકે

નવી દિલ્હી, તા.૧૧ : ભારત અને ચીનના  પૂર્વી લદ્દાખનીએ સરહદે મે મહિનાથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવ ટૂંક સમયમાં જ ઘટી શકે છે. બંને દેશોનું સૈન્યએ યથાસ્થિતિ જાળવી રાખવા ત્રણ તબક્કામાં પીછેહટ કરવાની યોજના પર સહમતિ વ્યક્ત કરી હતી. ત્યાર બાદ બંને દેશોની સેનાઓ એપ્રિલ-મે મહિનાની પોતાની જુની સ્થિતિમાં પોત પોતાની સ્થિતિ પર પાછી ફરશે.

એક રિપોર્ટ મુજબ, ભારત અને ચીનની વચ્ચે લદાખના વિવાદાસ્પદ સ્થળોથી સેનાઓ હટાવવા એટલે કે ડિસએન્ગેજમેન્ટને લઈને સહમતિ સધાઈ ગઈ છે. તે મુજબ બંને દેશોના સૈનિક એપ્રિલ-મે મહિનાવાળી જૂની યથાસ્થિતિ પર પરત ફરશે. તેની પર ૬ નવેમ્બરે ચુશુલમાં કોર-કમાન્ડર લેવલની આઠમા ચરણની મંત્રણામાં ચર્ચા થઈ હતી.

લદાખના ચુશૂલમાં ૬ નવેમ્બરે ભારત-ચીનની સેનાઓની વચ્ચે આઠમા રાઉન્ડની મંત્રણા થઈ હતી. તેમાં ત્રણ ચરણના પ્લાન પર બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે. પહેલા તબક્કામાં પેન્ગોગ લેકના વિસ્તારને એક સપ્તાહમાં ખાલી કરવામાં આવશે. ટેક્ન અને સૈનિકોને પરત મોકલવામાં આવશે. બીજા તબક્કામાં સેનાઓ પેન્ગોગ લેકની પાસેથી રોજ પોતાના ૩૦ ટકા સૈનિકોને હટાવશે. આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ચીની સેના ફિંગર ૮ની પાસે પરત ફરશે, તો બીજી બાજુ ભારતીય સેના પોતાની ધાન સિંહ થાપા પોસ્ટ પર પરત આવશે.

ત્રીજા તબક્કામાં ભારત અને ચીનની સેનાઓ પેન્ગોગ લેક વિસ્તારના દક્ષિણ ક્ષેત્રથી પોતાના સૈનિકોને હટાવશે. તેની સાથે જ ચુશૂલ, રેજાંગ લાની જે પહાડીઓ પર તણાવના સમયે કબજો કરવામાં આવ્યો હતો તેને પણ ખાલી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પર બંને સેનાઓ નજર રાખશે, જેની પર સહમતિ સધાઈ છે. કુલ છ સપ્તાહમાં આ

રિપોર્ટ મુજબ, બંને દેશ સેનાઓ હટાવવા માટે એટલા માટે પણ તૈયાર થયા કારણ કે, હાલ પૂર્વ લદાખમાં પહાડોનીએ ચોટ પર ભારે બરફવર્ષા થઈ રહી છે. લગભગ ૧૫-૧૬ હજારની ઊંચાઈ પર તાપમાન માઇનસ ૪૫ ડિગ્રી સુધી જતું રહે છે. તેનાથી બંને દેશોના સૈનિકોની પરેશાની વધી શકે છે.

પૂર્વ લદાખના પેન્ગોગ લેકના વિસ્તારમાં એપ્રિલ બાદથી જ તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીની સેનાએ આ દરમિયાન અનેક ભારતીય પેટ્રોલિંગ પોઇન્ટ્સ પર કબજો કરી દીધો હતો પરંતુ સમયબદ્ધ રીતે ભારતીય જવાનોએ ચીનેન જવાબ આપ્યો. બીજી તરફ ૧૫ જૂને ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ભારતના ૨૦ સૈનિક શહીદ થયા હતા. ચીનના પણ ૪૩ સૈનિક હતાહત થયા હોવાના રિપોર્ટ છે. જોકે ચીને અધિકૃત રીતે પોતાના સૈનિકોના મોતનો આંકડો બહાર પાડ્યો નહોતો.

બંને દેશો વચ્ચે ૧૫ જૂનની મધ્ય રાત્રીએ પૂર્વી લદ્દાખમાં ગલવાન ખીણમાં અથડામણ થઈ હતી. જેમાં ભારતના ૨૦ જવાનો શહિદ થયા હતાં.

ડિસએંગેજમેંટ પ્લાન પર સહમતિની હાલ ભારતીય સેના તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. જોકે સૂત્રોનું કહેવુ છે કે, બંને દેશો વચ્ચે આ મામલે સહમતિ સધાઈ ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે, મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાના કારણે હજી ભારતીય સેના આ મામલે કંઈ પણ કહેતા પહેલા સાવધાની રાખી રહી છે.

(7:38 pm IST)