News of Friday, 13th November 2020
મુંબઇ તા. ૧૩ : વેપારીને કોઈ પણ પ્રકારની નોટિસ કે સમન્સ આપતાં પહેલાં તેના પર ફરજિયાત ડોકયુમેન્ટ વેરિફિકેશન નંબર (ડીન નંબર) લખ્યા બાદ જ કાર્યવાહી કરવાનો સીબીઆઈસીએ આદેશ કર્યાને આઠ માસ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ સ્ટેટ જીએસટીમાં ડીન નંબર આપવા માટેના સર્વરનાં જ ઠેકાણાં નથી તેમજ આગામી થોડા દિવસોમાં સર્વરની વ્યવસ્થા ઉભી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
સીબીઆઈસીએ આઇટી કે જીએસટીના કરદાતાને નોટિસ કે સમન્સ આપવામાં આવે તો તેના ૫૨ ફરજિયાત ડીન નંબર આપવાનો નિયમ બનાવ્યો છે. આ નિયમ બનાવવા પાછળનો હેતુ એવો છે કે અધિકારી દ્વારા કોઇ પણ કરદાતાને ખોટી રીતે નોટિસ કે સમન્સ ખોટી રીતે આપવામાં નહીં આવે. તેમજ તેના કારણે કરદાતાએ પરેશાનીનો સામનો કરવો નહીં પડે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે, આ નિયમને સ્ટેટ જીએસટીના અધિકારીઓને લાગુ પડતો જ નહીં હોય તેમ છેલ્લા આઠ મહિનાથી ડીન નંબર વિના જ નોટિસ ફટકારવામાં આવી રહી છે. તેમાં એવી ચોકાવનારી હકીકતો જાણવા મળી છે કે સ્ટેટ જીએસટીએ ડીન નંબર આપવા માટેનું સર્વર જ હજુ સુધી તૈયાર કરવામાં આવ્યું નથી. જેથી આગામી દિવસોમાં ડીન નંબરવાળી નોટિસ માટેના સર્વર તેયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી આ સર્વર તૈયાર થયા બાદ સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા આપવામાં આવનાર નોટિસમાં કે સમન્સમાં ડીન નંબર લખવામાં આવશે.
ડીન નંબર વિના જ સ્ટેટ જીએસટીના અધિકારીઓ આડેધડ નોટિસ ફટકારતા હોવાના લીધે ફરીથી ઈન્સ્પેકટર રાજ આવ્યું
હોવાનો અનુભવ વેપારીઓ કરી રહ્યા છે. તેના કારણે જ થોડા સમય પહેલાં આ મુદે રાજય સરકારમાં પણ લેખિત રજુઆત કરવામાં આવી હતી. રાજય સરકારને લેખિત રજૂઆત કરવામાં આવ્યા બાદ હવે ડીન નંબર માટેના અલગથી સર્વર ઊભા કરવાની તજવીજ સ્ટેટ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે એક પ્રશ્રએ પણ ઉપસ્થિત થયો છે કે કોરોનાના કારણે બે મહિના સુધી તોટીસ કે સમન્સ આપવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી. પરંતુ જુનથી સરકારી કામગીરી શરૂ કરતાની સાથે જ છેલ્લા પાંચ મહિનામાં અનેક કરદાતાઓને ડીન નંબર વિના જ સ્ટેટ જીએસટીના અધિકારીઓએ નોટીસ ફટકારી છે. તેમાં વેપારીઓને રંજાડવામાં આવતા હોવાની પણ વ્યાપક ફરીયાદ ઉઠી છે. ત્યારે વેપારીઓને રંજાડનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ વેપારીઓ તથા ટેકસ કન્સલટન્ટ અને સીએ આલમમાં ઉઠી રહી છે.