Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

કોરોના મહામારી : દેશના ઘણા ભાગમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન

આખરે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ સ્વીકાર્યું : કોરોના સંક્રમણ શરૂ થયું તે પછી પહેલી વખત સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોમ્યુનિટી સ્પ્રેડની વાત હવે સ્વીકારી છે

નવી દિલ્હી,તા.૧૮ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારે આખરે સ્વીકાર કરી લીધો છે કે, કોરોના સંક્રમણના મામલે ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચૂક્યું છે. જોકે, તેમણે સાથે જ એમ પણ કહ્યું કે ,આ માત્ર કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી મર્યાદિત છે. તેમનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના એ નિવેદન પછી સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-૧૯નું કોમ્યુનિટી સ્પ્રેડ હવે શરૂ થઈ ગયું છે. વર્ધનનું આ નિવેદન તેમના સાપ્તાહિક વેબીનાર સંડે સંવાદ દરમિયાન કરાયેલા એક પ્રશ્નના જવાબમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે ક, આ સાપ્તાહિક વેબીનારમાં કેન્દ્રીય મંત્રી સોશિયલ મીડિયા પર લોકો સાથે વાત કરે છે અને તેમની તરફથી પૂછાયેલા સવાલનો જવાબ આપે છે. આ દરમિયાન કોઈએ તેમને પ્રશ્ન પૂછ્યો, મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં કોમ્યુનિટી સ્પ્રેડનું ઉદાહરણ જોવા મળ્યું છે. શું અન્ય રાજ્યોમાં પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે?' તેના જવાબમાં તેમણે કહ્યું કે, 'પશ્વિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં અલગ-અલગ ક્ષેત્રોમાં કોમ્યુનિટી સ્પ્રેડની આશા છે, ખાસ કરીને ગીચ વિસ્તારોમાં થવાની આશા વધુ છે.

          જોકે, તે આખા દેશમાં નથી થઈ રહ્યું. તે મર્યાદિત રાજ્યોના કેટલાક જિલ્લા સુધી સીમિત છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ શરૂ થયું તે પછી પહેલી વખત સ્વાસ્થ્ય મંત્રીએ કોમ્યુનિટી સ્પ્રેડની વાત સ્વીકારી છે. આ પહેલા તેઓ આ વાત સતત નકરતા રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના લોકોને આગામી દૂર્ગા પૂજાના તહેવારમાં સાવચેતી રાખવાનો આગ્રહ કર્યો હતો. બેનર્જીએ કહ્યું હતું કે, 'હું બધાને તહેવારોમાં કોવિડ-૧૯ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કરું છું. રાજ્યમાં કોવિડ-૧૯ના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું પણ ઉદાહરણ છે. બીજી તરફ, જુલાઈમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક માર્ગદર્શન દસ્તાવેજ જાહેર કર્યો હતો, જેમાં અજાણતા આ વાત પણ સામે આવી કે, ભારતમાં એપ્રિલના શરૂઆતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું હતું. બાદમાં આ દસ્તાવેજને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પરથી હટાવી લેવાયો હતો.

(9:17 pm IST)