Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોના કાળમાં ખૂબ ફૂલ્યુ-ફાલ્યું ડ્રાયફ્રૂટ્સનું બજાર

લોકોએ ડ્રાયફ્રૂટ્સને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે લીધાઃ આની માંગમાં ઘણી વૃધ્ધિ થઈ

નવી દિલ્હી,તા. ૧૯: વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના સમયમાં જયાં તમામ વેપાર-ધંધા મંદીનો શિકાર બન્યા છે ત્યાં ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સનો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. લોકડાઉનની શરૂઆતના ૧૦-૧૫ દિવસ છોડીને બજારમાં સૂકા મેવાની માંગ જબરદસ્ત કરી છે. આનું મોટુ કારણે એ કે લોકોએ ડ્રાયફ્રૂટ્સને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે લીધા, આની માંગમાં ઘણી વૃદ્ઘિ થઈ.

લોકડાઉનમાં લોકોએ ઘરે બેઠા હેલ્દી નટ્સ પર ખૂબ ખર્ચ કર્યો છે. ઘરમાં લોકોએ અનેક પ્રકારના પકવાન અને મિઠાઈઓ બનાવી, જેમાં સુકા મેવાની જરૂર પડી. આનો બીજો લાભ ઈ-કોમર્સ કંપનીઓને થયો છે, જેણે ઘરે-ઘરે ડ્રાયફ્રૂટ્સ સપ્લાય કર્યા છે. કારોબાર બિઝનેસ ટૂ કસ્ટમર ચાલ્યો. જયાં હોલસેલરનું મહિનામાં ૧૦ કરોડ રૂપિયાનું વેચાણ થતું હતું ત્યાં ૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. સૌથી વધુ બદામ વેચાઈ. ત્યાર બાદ અંજીર, અખરોટ ગિરી અને મુનક્કોનું વેચાણ થયું કાજૂની માંગમાં વધારે વૃદ્ઘિ નથી થઈ કેમકે તેનો ઉપયોગ મોટાભાગે કંદોઈ કરે છે. જો કે, બ્રાન્ડેડ ફરસાણ કંપનીઓએ જરૂરથી કાજૂનો ઉપયોગ કર્યો છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે, ગત વર્ષના મુકાબલે ૨૦૨૦માં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં ૪૦ ટકા સુધી ઘટાડો આવ્યો છે. બદામના ભાવ ૨ ડોલર ૨૫ સેન્ટ પ્રતિ પાઉન્ડથી ઘટીને ૧ ડોલર ૪૦ સેન્ટ સુધી આવી ગયા. વેપારીઓએ પણ ૨૦ ટકા સુધી નફો કમાયો છે. અમેરિકામાં બદામનો પાક ઓગસ્ટમાં તૈયાર થાય છે, જે આ વર્ષે ઘણી સારો પાકયો છે. આ અગાઉ પાક સપ્ટેમ્બર સુધી હિન્દુસ્તાન પહોંચી જતો હતો, પરંતુ કોવિડને કારણે આ વખતે થોડું લેટ થયું છે.

ટ્રેડર્સ પ્રમાણે, રક્ષા બંધન ૨ ઓગસ્ટ પછીથી ડ્રાયફ્રૂટ્સની માંગમાં વધુ વૃદ્ઘિ નોંધાઈ. કેમ કે આ પહેલો તહેવાર રહ્યો જેમાં બહેન પોતાના ભાઈને મળવા જઈ શકી. આમાં બન્ને પરિવારોને ખબર હતી કે કોરોનાનો ખતરો નથી. ઓગસ્ટ અગાઉ લોકોમાં કોરોના અંગે વધુ પડતો જ ડર હતો. પછી મિઠાઈઓના વેચાણ પણ શરૂ થયું. હવે કંદોઈને પણ આશા છે કે દિવાળીમાં ૫૦થી ૬૦ ટકા સુધી કામ કરી લેશે. આ જ કારણ છે કે તેઓએ પણ ડ્રાયફ્રૂટ્સનું બુકિંગ કરાવવાનું શરૂ કર્યું છે.

આ વખત કોર્પોરેટ ગિફ્ટિંગ પર ખરાબ અસર પડવાની આશંકા છે. કોરોનાને કારણે ઘણી બધી કંપનીઓ બંધ થઈ ગઈ છે, તમામ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા ઘટી ગઈ છે. મહામારીને કારણે બિઝનેસ મંદ પડી ગયો છે. અમુક જ કંપનીઓ દિવાળીના અવસર પર પોતાના એમ્પલોયને ગિફ્ટ આપશે. તેમનો અંદાજ છે કે આ કારણે આનું લગભગ ૩૦ ટકા નુકશાન વેઠવું પડશે.

બદામના વેપારી અપ્રેશ ગર્ગનું કહેવું છે કે, દેશમાં લોકડાઉન લાગતા જ થોડા સમય સુધી ડ્રાયફ્રૂટ્સનો વેપાર પણ ઠપ થયો છે. પછીથી પ્રચાર થયો કે ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી ઈમ્યુનિટી વધે છે. સોશિયલ મીડિયા પર મોટા-મોટા ફાયદાઓની જાણ કરવામાં આવી. આ પછી, બજારમાં માંગ આવવા લાગી. બદામ અને અખરોટની સૌથી વધુ માંગ આવી હતી. બીજું, આ વર્ષે અમેરિકામાં પાક પણ સારો રહ્યો છે. બદામ અને વોલનટ સેલમાં છેલ્લા ૪ મહિનામાં ૩૦-૪૦ ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં લગભગ ૨ લાખ ૧૦ હજાર ટન બદામની આયાત કરવામાં આવી હતી, જે આ વખતે વધીને ૩ લાખ ટન થવાની સંભાવના છે. અમેરિકામાં એક નવો પાક આવી ગયો છે, જે લગભગ એક મહિનામાં ભારતને આયાત કરવામાં આવશે. આ પછી, જથ્થાબંધ વેપારીઓ માલના ઓર્ડર પણ બુક કરશે. આ વર્ષે ઉત્સવની મોસમ અને શિયાળો એક સાથે આવી રહ્યો છે. આનાથી સેલને પણ અસર થશે. લગ્નની મોસમમાં શંકા છે કે સમારોહમાં કેટલા મહેમાનોને મંજૂરી આપવામાં આવશે. ખાણી-પીણીની વસ્તુઓ તે જ આધારે બનાવવામાં આવે છે.

ફેડરેશન ઓફ સ્વીટ્સ એન્ડ નમકીન મેન્યુફેકચર્સના પ્રેસિડન્ટ વિરેન્દ્ર જૈને કહ્યું કે, કોવિડના સમયમાં મિઠાઈના વેચાણ પર અસર પડવાનું નક્કી છે. મીઠાઈ પછી ટ્રાન્જેકશનમાં ડ્રાયફ્રૂટ્સ કે ચોકલેટ્સનો નંબર આવે છે. આ વર્ષે મીઠાઈ પર લોકોનું ઓછું ફોકસ રહેવાનું છે. ગત વર્ષની તુલનાએ આ વખતે દિવાળી પર ૫૦ ટકા કામ માનીને ચાલવાનું છે. આજકાલ પણ સરેરાશ સેલ ૫૦ ટકાથી ઓછું છે. હવે લગ્ન-પ્રસંગે કોઈ નાના-મોટા ફંકશનમાં ડ્રાયફ્રૂટ્સ ખવરાવીને મોં મીઠું કરી શકે, તેના માટે મીઠાઈ જ જરૂરી છે. પહેલા જયાં લોકો ૪ ડબ્બા ખરીદતા હતા, આ વખતે કદાચ ઓછા ખરીદશે. કોરોના કાળમાં આવવા-જવા પર ફરક પડ્યો છે, જેની અસર ટ્રાન્જેકશન પર પણ રહેશે. કોર્પોરેટ કંપનીઓના ઓર્ડર પણ ગત વર્ષના મુકાબલે ઓછા આવશે. કેમ કે કોરોના મહામારીના સમયમાં હર કોઈ નુકશાનમાં ચાલી રહ્યું છે. કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જેની અસર ઓર્ડર પર પડશે. અત્યારે તહેવારોમાં પહેલા જેવો કોઈ ઉત્સાહ નથી રહ્યો. લોકોને હોસ્પિટલના ખર્ચા વધી ગયા છે.

(10:52 am IST)