Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભવિષ્યમાં ગરીબી રેખા નક્કી થશે ત્યારે આવક નહિ પણ વ્યકિતના લિવિંગ સ્ટાન્ડર્ડને ધ્યાને લેવાશે

ગ્રામિણ વિકાસ મંત્રાલયના એક રિસર્ચ પેપરમાં ઉલ્લેખ

નવી દિલ્હી તા. ૧૯ : ભવિષ્યમાં જયારે ગરીબી રેખા નક્કી કરવામાં આવશે ત્યારે વ્યાખ્યા વ્યકિતગત આવકના આધારે નહીં હોય પરંતુ તેમાં વ્યકિતના લિવિંગ સ્ટાન્ડર્ડને મહત્વ આપવામાં આવશે. જેમાં ઘર, શિક્ષણ અને સેનિટાઇઝેશન જેવી પાયાની મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓના આધારે ગરીબી રેખાની વ્યાખ્યા કરવામાં આવશે. કેન્દ્રિય ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલ એક વર્કિંગ પેપરમાં આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રિસર્ચ પત્ર કહે છે કે કોરોના વાયરસ મહામારીએ કેટલીક મહત્વની બાબતોની ગંભીરતાને રેખાંકિત કરી છે. જેમાં ગુણવત્તાયુકત હેલ્થકેર, શિક્ષણ અને જાગૃતિ, પાણી અને સેનિટાઇઝેશન ફેસિલિટી, પર્યાપ્ત માત્રામાં પોષણ અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે રહી શકાય તેવી જગ્યાનો સમાવેશ થાય છે.

આશ્ચર્યજનીક રીતે આ રિસર્ચ પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ બેંકે ભારતને ઓછી અને મધ્યમ આવકવાળા દેશ તરીકે દર્શાવતા દેશમાં ગરીબી રેખા આંકતા પ્રતિ વ્યકિત પ્રતિ દિવસ રૂ. ૭૫ની મર્યાદા બાંધી છે, જે ભારતના હાલના ગરીબી રેખા માટેના નિશ્ચિત પેરામીટર કરતા વધારે છે. આ પેપરમાં કહેવામાં આવ્યું છે કે 'સમય સાથે ભારતે નવી રિયાલિટી સાથે એડજસ્ટ થવાની જરૂર છે કે ઓછી મધ્યમ આવક ધરાવતા દેશમાં ગરીબી રેખા ભૂખના આધારે નહીં પરંતુ ઓછી આવકના કારણે અર્થતંત્ર દ્વારા આપવામાં આવતી તકને ઉઠાવી ન શકવાને લઈને વ્યાખ્યાયિત કરવામાં આવશે.'

પ્રિન્સિપલ ઇકોનોમિક એડવાઇઝર સીમા ગૌર અને ડિપાર્ટમેન્ટ ઓફ આરડીના ઇકોનોમિક એડવાઇઝર એન. શ્રીનિવાસા રાવ દ્વારા લખવામાં આવેલ આ એકેડમિક પેપરમાં દેશમાં દશકાઓથી ગરીબી માપવાના ઇતિહાસ અને વિવાદોને નિશાને લે છે જેણે આ પ્રક્રિયામાં મુશ્કેલીઓને કારણે તેને પડતી મૂકી છે. તેંડુલકર ગરીબી રેખાને લઈને વિવાદ ઉઠ્યો હતો જેને ખૂબ જ નીચો માપદંડ ગણવામાં આવ્યો હતો.

જોકે, પેપરમાં અંતે કહેવામાં આવ્યું છે કે ગરીબી રેખા જરૂરી છે જેથી પોલિસી બનાવનારાઓ પાસે હેતુલક્ષી આંકડો હોવો જોઈએ, જેની આસપાસ કામ કરવું, તેમજ વંચિતતા સામે લડવા માટે કેટલું કામ થયું છે તે જાણી શકાય. રોજગારનું સૃજન કરીને ગરીબીને નાથવા માટે વાર્ષિક સરેરાશ જીડીપી વૃદ્ઘિદર ૮ ટકા આસપાસ હોવો મહત્વપૂર્ણ છે. દેશમાં ગરીબી રેખાની વ્યાખ્યા કરવા અને ગરીબીને નાબૂદ કરવા માટે આરડી મંત્રાલયનો મહત્વનો ભાગ છે, સોશિયો ઇકોનોમિક વસ્તી ગણતરી માટેની ઓથોરિટી તરીકે, જે વંચિતોની ઓળખ કરવા માટે માપદંડો આપે છે તેમજ ગરીબી નાબૂદી માટે ચાલતા જુદા જુદા કાર્યક્રમોના અમલીકરણ અને દેખરેખ પર નજર રાખે છે.

વૈશ્વિક અહેવાલોને ટાંકીને આ રિસર્ચ પત્રમાં જણાવાયું છેકે ભારત ગરીબી સામેના યુદ્ઘમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પેપરમાં કહેવાયું છે કે 'ભારતમાં સામાજિક આર્થિક સૂચકાંકોમાં પ્રગતિ નોંધપાત્ર અસમાનતા દર્શાવે છે. ગરીબી સામાજિક અને આર્થિક એમ બંને રીતે કેન્દ્રિત છે.'

(12:35 pm IST)