News of Tuesday, 20th October 2020
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના સામે બેદરકારી નહીં દાખવવા સાથે સાવધાની રાખવાની સલાહ આપી છે તિઓએ બે ગજની દુરી, સમયે સમયે હાથને ધોવા તેમજ માસ્ક પહેરવું જરૂરી હોવાનું કહ્યું છે તેમણે કોરોના રસીનું કામ એડવાન્સ તબક્કે હોવાનું જણાવી કહ્યું હતું કે દરેક ભારતીયોને રસી મળે તેને માટે ઝડપથી કામ થઇ રહ્યું છે
તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સમયની સાથે- સાથે આર્થિક ગતિવિધિઓ ઝડપી બની. જીવન ફરીથી પોતાનું રોજિંદુ સ્વરૂપ જાળવવા પ્રયત્નશીલ છે. પણ તે યાદ રાખવુ જરૂરી છે કે કોરોના વાઇરસ હજી ગયો નથી. દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુદર ઓછો છે. કોરોના સામે દેશવાસીઓની લાંબી લડાઈ છે. પ્રતિ દસ લાખે સાડા પાંચ હજારને કોરોના. અમેરિકા-બ્રાઝિલમાં પ્રતિ દસ લાખે 25,000ને કોરોના. ભારતમાં પ્રતિ દસ લાખ લોકોએ મૃત્યુદર 83 છે. અમેરિકા, બ્રાઝિલ સ્પેન, બ્રિટન જેવા દેશોમાં આ આંકડો 600ને પાર. વિશ્વના સંપન્ન દેશોની તુલનાએ ભારત વધુને વધુ લોકોને જીત બચાવવામાં સફળ. દેશમાં 12,000 ક્વોરેન્ટાઇન સેન્ટર છે. કોરોનાની 2,000 ટેસ્ટિંગ લેબ છે. દેશમાં ટેસ્ટિંગની ક્ષમતા દસ કરોડે પહોંચવાની તૈયારીમાં છે.
બધા પ્રયાસો વચ્ચે આ સમય બેદરકાર થવાનો નથી. આ સમય તે માન લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે કોરોનાથી કોઈ ડર નથી. તાજેતરમાં આપણે ઘણા ફોટા-વિડીયો જોયા છે કે કેટલાય લોકોએ સાવધાની દાખવવાનું બંધ કર્યુ છે અથવા તો ઢીલાશ મૂકી છે. આ યોગ્ય નથી, જો તમે બેદરકારી દાખવો છો, માસ્ક વગર બહાર નીકળો છો તો તમે પોતાની જાતને અને પોતાના કુટુંબને, પોતાના બાળકોને, પોતાના કુટુંબના વૃદ્ધોને સંકટમાં મૂકી રહ્યા છો.
અમેરિકા હોય કે યુરોપના બીજા દેશોમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતા, પરંતુ અચાનક કેસો ફરીથી વધવા લાગ્યા છે. આ વૃદ્ધિ પણ પાછી ચિંતાજનક છે. કોરોના સામેની લડાઇને જરાય નબળી પડવા દેવાની નથી. માનવતાને બચાવવા માટે સમગ્ર વિશ્વ કામ કરી રહ્યુ છે. અનેક દેશ કામ કરી રહ્યા છે. આપણા દેશમાં કોરોનાની કેટલીય રસીઓ પર કામ ચાલી રહ્યુ છે, કેટલીક રસીઓ એડવાન્સ તબક્કે છે. આશાસ્પદ છે. કોરોનાની રસી જ્યારે પણ આવશે ત્યારે આ રસી દરેક ભારતીય સુધી કેવી રીતે પહોંચી તેના માટેની તૈયારી જારી છે. દેશના દરેક નાગરિક સુધી રસી પહોંચે તે માટે ઝડપથી કામ થઈ રહ્યુ છે
રામચરિત માનસમાં શિક્ષાપ્રદ વાત કહેવાઈ છે. તેમા શીખવા જેવી વાતો પણ છે અને ચેતવણી પણ છે. ભૂલ, શત્રુ, બિમારીને ક્યારેય નાના ન સમજવા જોઈએ. તેથી કોરોનાની જ્યાં સુધી દવા નહી ત્યાં સુધી ઢીલાઈ નહી. તહેવારોનો સમય ખુશીઓનો અને આનંદનો સમય છે. તેથી જો થોડી પણ બેદરકારી દાખવી તો તે આપણી ગતિ અને ખુશીઓને રોકી શકે છે, ખતમ કરી શકે છે. જીવનની જવાબદારી નીભાવવાની સાથે સતર્કતા જોડે-જોડે ચાલશે તો જ જીવનમાં ખુશીઓ રહેશે. બે ગજની દૂરી, સમયે-સમયે સાબુથી હાથ ધોવા અને માસ્ક લગાવવુ તે ન ભૂલાય. તહેવાર તમારા જીવનમાં ઉત્સાહન અને ઉમંગ ભરે તેવું હું ઇચ્છું છું. તેથી હું વારેઘડીએ દરેક દેશવાસીઓને આના માટે બે હાથ જોડી આગ્રહ કરુ છું.
મીડિયાના મિત્રોને મારો આગ્રહ છે કે તેઓ પણ કોરોના સામેના જાગૃતિ અભિયાનમાં જોડાય. તેથી કોઈપણ કોરોના અંગે બેદરકારી ન દાખવે તેવો મારો આગ્રહ છે. આ બધી જ તકેદારી સાથે હું નવરાત્રિ, દશેરા, દિવાળી અને ગુરુનાનક જ્યંતિ માટે બધાને અભિનંદન આપું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ વર્ષે કોરોના કાળમાં આ સાતમું રાષ્ટ્રજોગ સંબોધન હતુ. મોદીએ 19મી માર્ચે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ ત્યારે જનતા કરફ્યુની અપીલ કરી હતી. આ પછી વડાપ્રધાને 24મી માર્ચે કરેલા સંબોધનમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. તેના પછી 12મી મેએ કરેલા સંબોધનમાં 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તેના પછી 30મી જુને કરેલા સંબોધનમાં અન્ન યોજના 30મી નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.