Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

શ્રીનગરમાં અજાણ્યા બંદૂકધારીઓએ એડવોકેટ બાબર કાદરીની ગોળી મારી હત્યા કરી

બાબર કાદરી પ્રખ્યાત વકિલ છે અને ઘણીવાર ટીવી ચર્ચાઓમાં શામેલ રહે છે

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એડવોકેટ બાબર કાદરીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પોલીસને મળેલી માહિતી અનુસાર બંદૂકધારીઓએ તેના ઘરે બાબર કાદરીને ગોળી મારી હતી. બાબર કાદરીનું ઘર શ્રીનગરના હવાલ વિસ્તારમાં છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ મામલામાં સધન તપાસ શરુ કરી દીધી હોવાનાં અહેવાલો સામે આવી રહ્યા છે.

બાબર કાદરી પ્રખ્યાત વકિલ છે અને ઘણીવાર ટીવી ચર્ચાઓમાં શામેલ રહે છે. જો કે, હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું છે. આપને જણાવી દઈએ કે જુલાઇની શરૂઆતમાં બાંદીપોરા જિલ્લામાં ભાજપના નેતાને પણ આતંકીઓએ ઠાર માર્યા હતા.

સ્થાનિક ભાજપ નેતા શેખ વસીમ બારી સહિતના પરિવારના ત્રણ સભ્યોની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બાંદીપોરા પોલીસ સ્ટેશન નજીક બનેલી ઘટનામાં આતંકવાદીઓએ વસીમ બારીના ભાઈ અને પિતા ઉપર પણ ફાયરિંગ કર્યું હતું, બંનેને ઈજા પહોંચતા તેઓએ જીવ ગુમાવ્યો હતો. વસીમ બારી બાંદીપોરા જિલ્લાના પૂર્વ ભાજપ અધ્યક્ષ પણ હતા.

(11:51 pm IST)