Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

દિલ્હીમાં તબાહી બાદ યુપીમાં આંતકી હુમલાની યોજના હતી

આતંકવાદી અબુ યુસુફની કબૂલાત : દિલ્હીમાં ઝડપાયેલા યુસુફને આત્મઘાતી હુમલામાં કામ આવે તેવું જેકેટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી

નવી દિલ્હી, તા. ૨૭ : દિલ્હીમાં ઝડપાયેલો ઈસ્લામીક સંગઠનનો આતંકવાદી અબુ યુસુફ રાજધાનીમાં તબાહી મચાવ્યા બાદ યુપીમાં પણ અલગ ઠેકાણે ફીદાયીન હુમલા કરવાના ફીરાકમાં હતો. આ માટે દિલ્હીમાં અબુ યુસુફને અને અન્ય એક આત્મઘાતી આતંકીને યુપીની જવાબદારી આપવામાં આવી હતી.

જો કે એની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. દરમિયાન, સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા એ પુલવામાં હુમલા મામલે રજુ થયેલા ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે આ હુમલો કરવા આતંકી જૂથ જૈશ એ મોહમ્મદના મુખીયા મસૂદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઉમર ફારૂકના પાકીસ્તાનની બેંકના ખાતામાં ૧૦ લાખ રૂપિયા જમા કરાયા હતા.

દિલ્હીમાં ઝડપાયેલા આતંકી યુસુફને આત્મઘાતી હુમલામાં કામ આવે તેવું જેકેટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનીસ્તાનમાં બેઠેલા પણ પાકીસ્તાનમાં રહેતા ભારતના આમીર (હેંડલર) એ યુસુફને આત્મઘાતી હુમલો કરવા બે જેકેટ તૈયાર કરવા જણાવ્યું હતું.

અબુના દાવા મુજબ તેને પોતાના બીજા સાથીદાર વિષે આકાઓ તરફથી કાંઈ કહેવામાં આવ્યું નહોતું. અબુ યુસુફના કબજામાંથી હાથ ધરાયેલી મોટરબાઈકની ઓળખ થઈ છે. ૨૦૧૮માં શાલીમાર બાગ ઈલાકામાંથી તેની ચોરી થઈ હતી. બાઈકના મૂળ માલિક હિમાંશુ મિશ્રાએ ચોરીની એફઆઈઆર પણ નોંધાવી હતી.

(7:21 pm IST)