નવી દિલ્હી, તા.૨૮: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે તેમની વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને જનતા જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલના ૬ દિવસના ED રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. કેન્દ્રીય એજન્સી દિલ્હી સીએમના વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. EDએ કોર્ટમાં દલીલ કરી છે કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ચ્ઝની ટીમ ગુરુવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. જ્યાં હાલ ED દ્વારા તેના રિમાન્ડ વધારવાની અરજી પર સુનાવણી ચાલી રહી છે. EDએ દલીલ કરી હતી કે તે ઇચ્છે છે કે ગોવાના નેતાઓ કેજરીવાલનો સામનો કરે. EDએ કહ્યું કે કેજરીવાલ જાણીજોઈને વિગતો અને તેમના ITRને શેર કરી રહ્યા નથી.
એએસજી એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેઓ પ્રશ્નોના સીધા જવાબો આપી રહ્યા નથી. EDએ અરવિંદની ૭ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. ASGએ કહ્યું, મળેલા ડિજિટલ ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોને ગોવાથી બોલાવવામાં આવ્યા છે અને તેમને રૂબરૂ બેસીને તેમના નિવેદનો નોંધવા પડશે.
કેજરીવાલે કોર્ટ સમક્ષ પોતાની ધરપકડનો વિરોધ કર્યો અને કહ્યું, જ્યારે કોઈ કોર્ટે મને દોષી ઠેરવ્યો નથી ત્યારે મારી ધરપકડ કેમ કરવામાં આવી? ઈડીનો ઈરાદો મારી ધરપકડ કરવાનો હતો. માત્ર ચાર લોકોના નિવેદનમાં મારું નામ આવ્યું હતું. જે લોકોએ મારી તરફેણમાં નિવેદનો આપ્યા હતા તેમના નિવેદનો મારી વિરુદ્ધ બળજબરીથી મેળવવામાં આવ્યા છે.
તેના પર જજે કહ્યું કે તમે લેખિત નિવેદન કેમ નથી આપતા. કેજરીવાલે કહ્યું, આ મામલો હાલમાં બે વર્ષથી ચાલી રહ્યો છે. EDએ ૨૫૦૦૦ પાનાની તપાસ કરી છે. શું એક નિવેદન એક વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતું છે? અમે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. આ પહેલા કોર્ટમાં પહોંચ્યા બાદ મીડિયાના સવાલનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ. EDના વકીલ એએસજી એસવી રાજુએ કોર્ટમાં કેજરીવાલના બોલવાનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે કેજરીવાલ જે પણ કહી રહ્યા છે તે કલ્પના છે.
* CM કેજરીવાલે આરોપ લગાવ્યો કે ૫૫ કરોડ રૂપિયા સીધા ભાજપને આપવામાં આવ્યા. એ પૈસા કયાં ગયા? સીએમએ કહ્યું કે મારી સામે જે ચાર નિવેદનો રજૂ કરવામાં આવ્યા છે, શું તે સીટીંગ સીએમની ધરપકડ કરવા માટે પૂરતા છે?
* અરવિંદ કેજરીવાલે કહ્યું કે EDના માત્ર બે ઉદ્દેશ્ય હતા. પહેલું આમ આદમી પાર્ટીને કચડી નાખવું અને બીજું ગેરમાર્ગે દોરવું. ૧૦૦ કરોડનું કૌભાંડ થયું છે તો પૈસા કયાં છે?
* અરવિંદ કેજરીવાલે કહ્યું કે શું ED પાસે તેમની ધરપકડ કરવા માટે નક્કર આધાર છે? કેજરીવાલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે અસલી દારૂનું કૌભાંડ EDની તપાસ બાદ શરૂ થયું. ઈડીનો ઈરાદો મારી ધરપકડ કરવાનો હતો.
* દિલ્હીના સીએમએ કહ્યું કે આ કેસમાં તેમનું નામ માત્ર ચાર વખત સામે આવ્યું છે. EDના અધિકારીઓએ સારા વાતાવરણમાં પૂછપરછ હાથ ધરી હતી.
* કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે અત્યાર સુધી કોઈ કોર્ટે તેમને દોષિત માન્યા નથી. તેના પર કોર્ટે કહ્યું - તમે લેખિત નિવેદન કેમ નથી આપતા.
* કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે તેઓ તપાસ માટે ED અધિકારીઓનો આભાર માને છે. આ બધું બે વર્ષથી ચાલી રહ્યું છે. કેજરીવાલે પૂછયું કે અમારી ધરપકડ કેમ કરવામાં આવી?
* EDએ કહ્યું કે તે કેસ સંબંધિત માહિતી માંગે છે. પરંતુ કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. EDએ કેજરીવાલના વધુ ૭ દિવસના રિમાન્ડની માંગણી કરી છે.
* ASG કોર્ટમાં રિમાન્ડ અરજી વાંચી રહ્યા છે. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન નિવેદન નોંધવામાં આવ્યું છે. EDએ કહ્યું કે તે એક વ્યક્તિ સાથે કેજરીવાલનો મુકાબલો કરવા માંગે છે.