Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હાઇ બ્‍લડ સુગરને કંટ્રોલ કરવા લવિંગનું સેવન કરવુ હિતાવહ

એન્‍ટીસેપ્‍ટિક ગુણ ધરાવતુ લવિંગ શરદી, ઉધરસ, કફ અને દાંતના દુઃખાવામાં ફાયદાકારક

નવી દિલ્‍હીઃ લવિંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. આ સિવાય લવિંગનો ઉપયોગ શરદી, ઉધરસ અને દાંતના દુખાવામાં પણ થતો હોય છે. લવિંગમાં એવા તત્વો હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે પણ લાભકારી છે.

આયુર્વેદમાં લવિંગને કફહર કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે કફ દોષને સંતુલિત કરવાની ક્ષમતા રાખનાર. આ ઉપરાંત લવિંગ વાત દોષને પણ દૂર કરે છે. શરદી ઉધરસમાં પણ લવિંગનો પ્રયોગ વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ડાયાબિટીસમાં પણ લવિંગ ફાયદો કરે છે. ડાયાબિટીસમાં જે લોકોનું બ્લડ સુગર સતત હાઇ રહેતું હોય તેમણે રાત્રે સુતા પહેલા લવિંગ ચાવીને ખાઈ લેવું જોઈએ. લવિંગ ખાધા પછી કંઈ પણ ખાવું નહીં. આ રીતે લવિંગ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં આવી જાય છે.

લવિંગ એન્ટિસેપ્ટિક ગુણોનો ભંડાર છે. જે ડાયાબિટીસની સમસ્યાને દૂર કરી શકે છે. તેમાં રહેલા તત્વ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. તેની મદદથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધે છે. એક રિસર્ચમાં પણ એ સાબિત થયું છે કે લવિંગ ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ કરે છે. એટલે કે શરીરમાં કુદરતી રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. સાથે જ લવિંગ ખાવાથી શરીરને અન્ય ફાયદા પણ થાય છે.

કેવી રીતે કરવું લવિંગનું સેવન ?

શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે લવિંગ અલગ અલગ રીતે ખાઈ શકાય છે. જેમાં મુખ્ય છે રાત્રે સુતા પહેલા બે કે ત્રણ લવિંગને મોઢામાં રાખી સૂવું. આમ કરવાથી લાભ થશે.. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ થશે અને શરદી ઉધરસની સમસ્યાથી પણ રાહત મળશે.

(6:23 pm IST)