Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

તામિલનાડુનું વિલ્લુપુરમ મંદિરમાં ભક્‍તોએ ચડાવેલ લીંબુની કિંમત બજારમાં આવતા લાખોમાં વેચાય

પુજામાં રાખેલા લીંબુ ચમત્‍કારી હોવાનું ભક્‍તોમાં માન્‍યતા

નવી દિલ્‍હીઃ દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુના મંદિર તેની ભવ્યતા, સુંદરતા અને સંપન્નતાના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે પહોંચે છે. તમિલનાડુનું એક આવું જ પ્રસિદ્ધ મંદિર વિલ્લુપુરમ છે. આ મંદિર હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ મંદિરમાં તાજેતરમાં જ પંગુની ઉથીરમ પૂજા ઉત્સવ સંપન્ન થયો છે. ત્યાર પછી પૂજા દરમિયાન મંદિરમાં રાખેલા 9 લીંબુની બોલી લગાડવામાં આવી. અને આ નવ લીંબુ 2.3 લાખ રૂપિયામાં વેચાયા. બજારમાં માત્ર 20 થી 30 રૂપિયામાં મળતા આ લીંબુ લાખો રૂપિયામાં વેચાયા તેની પાછળ ખાસ કારણ છે. પૂજામાં રાખેલા આ લીંબુમાં ચમત્કારી શક્તિઓ હોવાનું લોકો માને છે.

દેવતાઓના પવિત્ર ભાલામાં રાખેલા લીંબુ

વિલ્લુપુરમ મંદિરમાં દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવની પરંપરા વર્ષો જૂની છે. વર્ષોથી ઉત્સવના છેલ્લા દિવસે પૂજામાં ઉપયોગમાં લીધેલા લીંબુની નીલામી થાય છે. આ વર્ષે પણ મંદિરમાં નવ લીંબુ રાખવામાં આવ્યા હતા જે 2.3 લાખ રૂપિયામાં નીલામ થયા. આ લીંબુને દેવતાઓના પવિત્ર ભાલા પર લગાડવામાં આવ્યા હોય છે. આ લીંબુને લઈને એવી માન્યતા છે કે તેનો રસ કાઢી તેને પાણીમાં ઉમેરીને પીવાથી નિ:સંતાન દંપત્તિને સંતાન પ્રાપ્તિ થાય છે સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ માન્યતાના કારણે પૂજા પત્યા પછી લોકો લીંબુ ખરીદવા માટે આતુર હોય છે. અહીંના લોકોને દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન મુરુગાના ભાલામાં જાદુઈ શક્તિઓ હોય છે જે આ લીંબુમાં આવી જાય છે.

મહત્વનું છે કે મંદિરમાં નવ દિવસ સુધી ઉત્સવ ચાલે છે દરેક દિવસે મંદિરના પૂજારી એક લીંબુ ને ભાલામાં રાખે છે. આ રીતે નવ દિવસના નવ લીંબુ એકઠા થાય છે. ઉત્સવના છેલ્લા દિવસે બધા જ લીંબુની નિલામી કરવામાં આવે છે. લોકોનું માનવું છે કે પહેલા દિવસે જે લીંબુનો ઉપયોગ થયો હોય તેમાં સૌથી વધુ શક્તિઓ હોય છે. પહેલા દિવસના લીંબુ ને ગામના એક દંપત્તિએ  50,000 રુપિયામાં ખરીદ્યું હતું. આ રીતે બધા જ લીંબુ કુલ 2,36,100 રૂપિયામાં નિલામ થયા.

(6:26 pm IST)